મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં NDA અને ખાસ કરીને ભાજપના નિરાશાજનક પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તે અંગે અડગ હતા, પરંતુ પક્ષશ્રેષ્ઠીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી અને રાજ્યમાં ફરી કામે લાગવાનો આદેશ આપ્યો છે.

2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપે (BJP) રાજ્યમાં 48માંથી 41 બેઠકો જીતી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ નામનું નવું ગઠબંધન આ વખતે માત્ર 17 બેઠકો જ મેળવી શક્યું છે. દરમિયાન રાજ્યમાં કૉંગ્રેસનું (Congress)પ્રદર્શન સૌથી સારું રહ્યું છે જ્યારે ભાજપે ઘણા વિસ્તારોમાં જનતાનો જાકારો સહન કરવો પડ્યો છે. મુંબઈમાં પણ ભાજપ સહિત એનડીએને માત્ર એક જ બેઠક મળી છે.
કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની બનેલી મહા વિકાસ આઘાડીએ આ લોકસભા ચૂંટણીમાં 30 બેઠકો જીતી છે. અનપેક્ષિત પરિણામ બાદ ફડણવીસે જવાબદારી લેતા રાજ્ય સરકારના નાયબ મુખ્ય પ્રધાનપદ પરથી પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઓક્ટોબર-નવેમ્બરમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે અને પક્ષને મજબૂત કરવા માગે છે.
શુક્રવારે એનડીએની બેઠક પછી, ભાજપના નેતાએ રાજ્યમાં ગઠબંધનના પ્રદર્શન પર ચર્ચા કરવા માટે સાથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાનો વિષય ચર્ચાયો હતો. ત્યારબાદ તેઓ જ્યાં ગૃહ પ્રધાન અમિત શાહને (Amit Shah) દિલ્હી ખાતે મળ્યા હતા, જેમાં તેમણે પોતાની આ વાત રજૂ કરી હતી, પરંતુ શાહે તેમને મહારાષ્ટ્ર સરકાર માટે કામ કરવાનું ચાલુ રાખવા અને રાજ્યમાં ભાજપને પુનર્જીવિત કરવાનું આયોજન કરવા જણાવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.
અમિત શાહે ફડણવીસને કહ્યું કે,”જો તમે રાજીનામું આપો છો તો તેનાથી ભાજપના કાર્યકર્તાઓના મનોબળને અસર થશે. તેથી હવે રાજીનામું આપશો નહીં. અમિત શાહે તેમને એમ પણ કહ્યું હતું કે રવિવારે સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેશે તે પછી તેઓ મહારાષ્ટ્ર અંગે સવિસ્તર ચર્ચા કરશે.

