નવી દિલ્હી, તા. 2પ : લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે આજે એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા બાદ જય પેલેસ્ટાઈનનું સૂત્ર પોકારતાં વિવાદ સર્જાયો હતો. બીજી તરફ ભાજપના સાંસદ છત્રપાલ ગંગવારે સોગંદ લીધા બાદ જય હિન્દુ રાષ્ટ્ર બોલતાં સંસદમાં હંગામો થયો હતો. ઓવૈસીએ શરૂઆતમાં જય ભીમ કહ્યું હતું અને પછી અંતમાં જય ભીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈનનો નારો લગાવ્યો હતો.

ભાજપ નેતા જી. કિશન રેડ્ડીએ તેનો વિરોધ કર્યો હતો અને તેને રેકોર્ડમાંથી હટાવવા જણાવ્યું હતું. ઓવૈસીએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, એમાં વિરોધ શા માટે થાય છે? બંધારણમાં જોગવાઈ બતાવો. પ્રોટેમ સ્પીકરે તેમના શબ્દો સંસદના રેકોર્ડમાંથી હટાવી દીધા હતા. બીજી તરફ ગંગવારે પણ શપથ લીધા બાદ જય હિન્દુ રાષ્ટ્રનો ઉચ્ચાર કરતાં વિપક્ષોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કે.સી.વેણુગોપાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વાંધો ઉઠાવ્યો હતો.

