by : Reena brahmbhatt
અનામત…અનામત અને અનામત બસ જ્ઞાતિ કે જાતિને નામે કેટલીક છૂટછાટો મેળવી ખાસ મહેનત વગર સારી નોકરી મેળવવાની માનસિકતા ફક્ત ભારતમાં જ છે તેવું નથી.ગઈકાલે બાંગ્લાદેશમાં જે ખેલ થયો અને રમખાણો થયો તે બાબત તમને ઈશારો કરે છે કે, અનામત લોકોની માનસિકતા શું કરી શકે છે.બાકી પાકિસ્તાનની તુલનાએ બાંગ્લાદેશ પ્રગતિશીલ દેશ છે.અને શેખ હસીના સફળતાપૂર્વક શાસન ચલાવી જ રહ્યા હતા.તેમછતાં આ સીન ક્રિએટ થયો છે.ત્યારે ભારતમાં પણ અનામતની જપમાળા કરતા લોકોએ સમજવું જોઈશે કે આ અભરખા છોડી દેવા નહિતર સમાજનો કોઈ વર્ગ આ હદે પણ વિદ્રોહ કરી લાખો કે કરોડોના જીવ જોખમમાં મૂકી શકે છે,આપણા ત્યાં પણ આ મુદ્દે આંદોલનો તો થાય જ છે.ત્યારે હાલ આ મુદ્દે બાંગ્લાદેશની સ્થિતિની વાત કરીયે કે, બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનનો વિજય થયો છે. છેલ્લા 15 વર્ષથી દેશમાં સત્તા પર રહેલી શેખ હસીના દેશ છોડીને ભાગી ગઈ છે. સોમવારે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિને મળશે અને દેશમાં વચગાળાની સરકાર બનાવશે. આ માટે તેમણે દેશના વિવિધ રાજકીય પક્ષો સાથે પણ વાત કરી છે. જોકે, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થીઓએ આર્મી ચીફના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને કહ્યું છે કે તેઓ 24 કલાકની અંદર તેમની રાષ્ટ્રીય વચગાળાની સરકારનો પ્રસ્તાવ મૂકશે.

ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના મુખ્ય આયોજકોમાંના એક નાહિદ ઈસ્લામે કહ્યું કે શેખ હસીનાનું રાજીનામું અમારા આંદોલનનું પહેલું પગલું હતું અને હવે અમે બીજા પગલા તરફ આગળ વધીશું.તેમણે કહ્યું કે દેશના નાગરિકો, બૌદ્ધિકો અને હિતધારકોના સહયોગથી 24 કલાકની અંદર વચગાળાની રાષ્ટ્રીય સરકારની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. એટલે કે બાંગ્લાદેશમાં આજે આ અંગે નિર્ણય લેવામાં આવશે.
“આ જીત વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોના નામે છે.”
પ્રેસ કોન્ફરન્સમાં નાહીદે કહ્યું, “હું આ જીત શહીદ વિદ્યાર્થીઓને સમર્પિત કરું છું જેઓ આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા.” આ અવસરે નાહિદની સાથે ચળવળના આયોજકો આસિફ મેહમૂદ, હસન અબ્દુલ્લા અને સરજીસ આલમ પણ હાજર હતા.
તેમણે વધુમાં કહ્યું, “અમે વિરોધીઓ આ ફાસીવાદી સરકાર સામે એક થયા છીએ. અમારી વચ્ચે કોઈ સંગઠન કે ધાર્મિક તફાવત નથી. આપણે બધા એકજૂટ રહીશું અને જો કોઈ દેશમાં ધાર્મિક ઉશ્કેરણી, તોડફોડ કે ભાગલા પાડવાનો પ્રયાસ કરશે તો વિદ્યાર્થીઓ તેને રોકશે.
બાંગ્લાદેશ વિરોધ
પત્રકાર પરિષદ દરમિયાન વિદ્યાર્થીઓ
શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ
કોન્ફરન્સમાં વિદ્યાર્થી નેતાઓએ એમ પણ કહ્યું કે શેખ હસીનાને દેશમાં પરત લાવવામાં આવે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. શેખ હસીના પર ચૂંટણીમાં વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવાનો, ભ્રષ્ટાચાર, માનવાધિકારનું ઉલ્લંઘન અને તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં 300થી વધુ લોકોના મોતનો આરોપ છે.
હસીનાનું રાજીનામું લગભગ એક મહિનાની હિંસા પછી આવ્યું છે, જે મુક્તિ ચળવળ સાથે સંકળાયેલા લોકો માટે નોકરીમાં અનામતમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓએ શરૂ કર્યું હતું. જો કે સ્થિતિ વણસી જતાં સુપ્રીમ કોર્ટે આ ક્વોટાને 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો હતો, પરંતુ શેખ હસીના સરકાર દ્વારા વિરોધને દબાવવા માટે લેવામાં આવેલા તાનાશાહી પગલાં બાદ આ વિરોધોએ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.
વિદ્યાર્થીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી અને દેશના વિવિધ વર્ગો આ આંદોલનમાં જોડાયા. હવે શેખ હસીનાએ દેશ છોડી દીધો છે, હવે જોવાનું એ રહે છે કે બાંગ્લાદેશમાં નરમ સંક્રમણ સાથે સરકાર રચાશે કે પછી હજુ લાંબી લડાઈ બાકી છે.
5 ઓગસ્ટે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શેખ હસીનાના આવાસમાં ઘૂસી ગયા હતા. તેઓએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. જો કે આ પહેલા શેખ હસીનાને ત્યાંથી બહાર કાઢીને ભારત મોકલવામાં આવી હતી. શેખ હસીના હાલ દિલ્હી નજીક ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર છે. એવી અપેક્ષા છે કે તે લંડન જઈ શકે છે.

