ઉદયપુર, તા. 16 : તાજેતરમાં ઉદયપુર ખાતે સરકારી શાળાની બહાર બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ અંતર્ગત ચાકુબાજી અને ઝપાઝપી બાદ સમગ્ર શહેરમાં આગજની અને તોડફોડ બાદ તનાવ સર્જાયો છે અને કલમ 144 લાગુ કરાઇ છે.
શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ છે, જેમાં લોકોએ આક્રોશમાં કાર, દુકાન તથા મોલમાં તોડફોડ કરતાં કલમ 144 લાગી કરાઇ હતી.બે જૂથ વચ્ચેના ઘર્ષણ બાદ હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોલ, અશ્વિની બજાર, બાપુ બજાર, ઘંટાગર જેવા વિસ્તારોની દુકાનો બંધ કરાવી હતી. વિસ્તારના કલેક્ટર અરવિંદ પોસવાલે જણાવ્યું હતું કે, હુમલો કરીને નાસી છૂટેલા સગીરને પકડીને તેના પિતાની ધરપકડ કરાઇ છે તથા ઘટનાસ્થળે પોલીસ તંત્ર તૈનાત છે.

સમગ્ર બાબતની ગંભીરતાપૂર્વક તપાસ કરાશે. બંને વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદના વિષયની જાણકારી નથી, પરંતુ શાળાની બહાર અથડામણ ગંભીર બની હતી, જેમાં ચાકુના ઘા ઝીંકાયા હતા. અથડામણમાં એક વિદ્યાર્થી ગંભીરપણે ઘવાતાં હાલ તેને આઇ.સી.યુ. ખાતે દાખલ કરાયો છે. હોસ્પિટલ પર પોલીસ દળ તૈનાત છે, જ્યારે હુમલાખોર નાસી છૂટયો હતો.

