Jakarta defense attaché on Operation Sindoor : ઇન્ડોનેશિયામાં ભારતના ડિફેન્સ અતાશે કેપ્ટન શિવ કુમાર (નૌકાદળ) દ્વારા તાજેતરમાં એક સેમિનારમાં આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાએ ‘ઓપરેશન સિંદૂર’ના પ્રારંભિક તબક્કામાં “કેટલાક ફાઇટર વિમાનો ગુમાવ્યા” કારણ કે રાજકીય નેતૃત્વએ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો ન કરવા અને ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો.
તો શું ઓપરેશન સિંદૂરમાં આપણે વિમાનો ગુમાવ્યાની વાત સાચી?
10 જૂનના રોજ જાકાર્તામાં એક સેમિનારમાં કેપ્ટન કુમારે કહ્યું હતું કે, “અમને ફક્ત એટલા માટે નુકસાન થયું કારણ કે રાજકીય નેતૃત્વએ અમને પાકિસ્તાનના લશ્કરી માળખાં અથવા હવાઈ સંરક્ષણને નિશાન ન બનાવવા કહ્યું હતું.” તેમણે એમ પણ કહ્યું કે શરૂઆતના નુકસાન પછી, ભારતીય દળોએ વ્યૂહરચના બદલી અને બ્રહ્મોસ મિસાઇલોથી સફળ હુમલા કર્યા, દુશ્મનના એર ડિફેન્સનો નાશ કર્યો.
પછી સરકારે કરી સ્પષ્ટતા
આ નિવેદન બહાર આવતાની સાથે જ વિવાદ ઉભો થયો અને કોંગ્રેસે સરકાર પર હુમલો કરવાનું શરૂ કર્યું. જો કે, વિવાદ વધતો જોઈને, ભારતીય દૂતાવાસ (જકાર્તા) એ સ્પષ્ટતા કરી કે કેપ્ટન કુમારના શબ્દો “સંદર્ભ વિના રજૂ કરવામાં આવ્યા” અને “મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા.” તેમણે એ વાત વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો કે ભારતીય સૈન્ય રાજકીય નેતૃત્વ હેઠળ કામ કરે છે, જે ભારતની લોકશાહી પરંપરાને પ્રતિબિંબિત કરે છે.
ભારતની કાર્યવાહી ઉશ્કેરણીજનક નહોતી…
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતુ કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો અને ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ઉશ્કેરણીજનક નહોતી. ઉલ્લેખનીય છે કે ડિફેન્સ અતાશી ભારતના એક વરિષ્ઠ સૈન્ય અધિકારી છે, જે એક દેશના દૂતાવાસમાં તૈનાત છે અને ત્યાં તેમના દેશના ભારતીય સંસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે.
કોંગ્રેસનું આક્રમક વલણ
કોંગ્રેસ પાર્ટીએ આ ટિપ્પણીને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી અને પ્રશ્ન ઉઠાવ્યો કે વડા પ્રધાન આ મુદ્દા પર સર્વપક્ષીય બેઠક કેમ નથી બોલાવી રહ્યા. પાર્ટી પ્રવક્તા પવન ખેરાએ કહ્યું, “આ ટિપ્પણી સીધી રીતે સરકારની જવાબદારી નક્કી કરે છે.” તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સમગ્ર સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો. ખેરાએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કર્યો, જેમણે ઓપરેશન સિંદૂરના પ્રારંભિક તબક્કામાં નુકસાન સ્વીકાર્યું હતું પરંતુ સંખ્યા આપી ન હતી. ગયા મહિને, જનરલ ચૌહાણે સિંગાપોરમાં જણાવ્યું હતું કે વિમાન ગુમાવ્યા પછી ભારતે વ્યૂહરચના બદલી હતી. જોકે તેમણે છ ભારતીય જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને “સંપૂર્ણપણે ખોટા” ગણાવ્યા હતા.