મુંબઈ, તા. 23 : અદાણી ગ્રુપ દ્વારા કોલસાના સપ્લાઈમાં ગડબડના આરોપોને એકદમ પાયાવિહોણા અને ખોટા ગણાવાયા છે. આ દરમિયાન અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી બુધવારે 11,300 કરોડ રૂપિયા વધીને 200 અબજ ડોલર (16.9 લાખ કરોડ રૂપિયા)એ ફરીથી પહોંચી ગઈ છે. કંપનીએ તમિલનાડુ વીજ કંપનીને કોલસાની સપ્લાઇમાં કોઈપણ ખોટા કામનો ઈનકાર કર્યા બાદ રોકાણકારોએ ગ્રુપ ઉપર ભરોસો વ્યક્ત કર્યો છે. કુલ મળીને છેલ્લા બે દિવસમાં ગ્રુપની બજાર મૂડીમાં 56250 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

અદાણી ગ્રુપના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોલસાની ગુણવત્તાનું પરીક્ષણ સ્વતંત્ર રીતે લોડિંગ અને ડિસ્ચાર્જ પોઇન્ટ ઉપર કરવામાં આવ્યું હતું. કસ્ટમ ઓથોરિટી અને તમિલનાડુ જેનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીના અધિકારીઓએ પણ તેની તપાસ કરી હતી. સપ્લાય કરવામાં આવેલા કોલસાનું એજન્સીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ડિટેલમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેનાથી સાફ થાય છે કે હલકી ગુણવત્તાના કોલસાના સપ્લાઈનો આરોપ પાયાવિહોણો અને ખોટો છે.
પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે પેમેન્ટ, સપ્લાઈ કરવામાં આવેલા કોલસાની ગુણવત્તા ઉપર નિર્ભર કરે છે અને તેને ટેસ્ટિંગ મારફતે નક્કી કરવામાં આવે છે. રિપોર્ટમાં ડિસેમ્બર 2013મા જે જહાજ મારફતે કોલસો લઈ જવાનો હવાલો આપવામાં આવ્યો છે. હકીકતમાં તે જહાજ ફેબ્રુઆરી 2014 પહેલાં ઇન્ડોનેશિયાથી કોલસો લાવવા માટે ઉપયોગમાં જ લેવાયું નથી.

