મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા બેમાંથી એક આરોપીએ પોતે સગીર હોવાનો કોર્ટમાં કરેલો દાવો ખોટો ઠર્યો હતો. આરોપી ધર્મરાજ કશ્યપની ઉંમર નક્કી કરવા માટે કોર્ટે બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવાના પોલીસને નિર્દેશ આપ્યા હતા અને ટેસ્ટમાં તે પુખ્ત હોવાનું પુરવાર થયું હતું.
આરોપી ધર્મરાજ કશ્યપને બાદમાં ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને તેને 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
કશ્યપને રવિવારે કોર્ટમાં હાજર કરાયો ત્યારે તેણે પોતાની ઉંમર 17 વર્ષ જણાવી હતી. એ સમયે પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા આધાર કાર્ડ પ્રમાણે તેની ઉંમર 21 વર્ષની છે. જોકે કશ્યપની ઉંમરની ખરાઇ કરી શકે એવા અન્ય કોઇ દસ્તાવેજો જપ્ત કરાયા નથી, એવું પણ પોલીસે કહ્યું હતું.
કોર્ટે બાદમાં આરોપીનું આધાર કાર્ડ રજૂ કરવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે કશ્યપના આધાર કાર્ડની નકલ રજૂ કરી હતી, જેમાં ફોટો કશ્યપનો હતો, જ્યારે નામ રંજનકુમાર ગુપ્તા હતું અને તેમાં જન્મતારીખ 1 માર્ચ, 2003 દર્શાવાઇ હતી.

