Former CM Vijay Rupani Death: અમદાવાદમાં ગુરુવારે (12મી જૂન) એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પત્ની અંજલિબહેન રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. જ્યારે પુત્ર ઋષભ પણ અમેરિકાથી ભારત આવવા માટે નીકળી ગયો છે.
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. જેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત ભાજપના નેતા કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબહેન બાબરિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી.
પીએમ મોદીએ દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંજલિબેન રૂપાણી અને પરિવારને મળ્યા હતી. દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું હતા, તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’
મળતી માહિતી અનુસાર, દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. ડીએનએ મેચ થયા બાદ પરિવારજનો રાજકોટ પહોંચશે.
265 લોકોના મોત થયાની માહિતી
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાનું વિમાન સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર 241 લોકો અને હોસ્ટેલ તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનમાં 265 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે.