Kalupur Swaminarayan Controversy: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મુનિ સ્વામીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના આ વિડિયોમાં સ્વામી ભગવા વેશને બદલે પેન્ટ-શર્ટ પહેરીને રાત્રિના સમયે ગાંધીનગરના એક પાન પાર્લરની બહાર નીકળતા જોવા મળે છે. આ ઘટના સામે આવ્યા બાદ મુનિ સ્વામી હાલમાં ક્યાં છે તેની કોઈને જાણ નથી, અને તેઓ ‘ભૂગર્ભમાં’ ઉતરી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
દિવસે સાધુ અને રાત્રે સંસારી: બે સાધુઓના કરતૂતોનો પર્દાફાશ
વાયરલ વિડિયોમાં મુનિ સ્વામીની સાથે રામ સ્વામી પણ જોવા મળે છે. આ બંને સાધુઓ દિવસે ભગવા કપડાં પહેરીને ધાર્મિક વિધિઓ કરતા હતા, પરંતુ રાત્રે સામાન્ય કપડાં પહેરીને બહાર ફરવા નીકળતા હતા. અગાઉ રામ સ્વામી એક મહિલા સાથે પકડાઈ ગયા હોવાથી તેમને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ વિડિયો સામે આવ્યા બાદ સંપ્રદાયમાં એવી ચર્ચા છે કે આ સાધુઓ ધર્મના નામે ખોટી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને રાત્રિના સમયે સંસારી સુખ માણવા નીકળી પડતા હતા.
સંસ્થાનો ખુલાસો અને શિષ્યોના ભૂતકાળના કિસ્સા
આ વિવાદ બાબતે મંદિરના સત્તાધીશો દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે રામ સ્વામી પોતાની ઈચ્છાથી સંસારમાં ગયા છે. જોકે, વાયરલ વિડિયોએ સંસ્થાના આ દાવાની પોલ ખોલી નાખી છે. અગાઉ પણ ચૈતન્ય સ્વામી અને વ્રજ સ્વામી જેવા સાધુઓ મહિલાઓ સાથેના સંબંધોને કારણે વિવાદમાં આવ્યા હતા. મુનિ સ્વામી અને રામ સ્વામી બંને કાલુપુર મંદિરના મહંતના નજીકના શિષ્યો હોવાથી અને આચાર્યના ખાસ ગણાતા હોવાથી આ ઘટનાએ સમગ્ર સંપ્રદાયની છબી પર સવાલ ઉભા કર્યા છે.
વિવાદ વધતા મુનિ સ્વામી અજ્ઞાત સ્થળે રવાના
રામ સ્વામીના કાંડ બહાર આવ્યા બાદ મુનિ સ્વામી પણ ગભરાઈ ગયા હોવાનું મનાય છે. પોતાનો વિડિયો વાયરલ થતા જ તેઓ કોઈને કહ્યા વગર અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવાદ શાંત ન થાય ત્યાં સુધી તેમને અન્ય કોઈ મંદિરમાં મોકલી દેવામાં આવ્યા હોઈ શકે છે. આ મામલે મંદિરના મહંત કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિએ હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ આપ્યો નથી, જેના કારણે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

