Upper Primary Division : સરકારી સ્કૂલોમાં ધો.6થી8માં (ઉચ્ચ પ્રાથમિક વિભાગ)માં શિક્ષક-વિદ્યાસહાયકની ભરતી માટેની હાલની પ્રક્રિયામાં મહત્વના ફેરફાર માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સૂચના અપાઈ છે.જે મુજબ આ ભરતીમા ઉમેદવારી નોંધાવી હોય અને ધો.1થી5ની શિક્ષકની-જ્ઞાન સહાયકની નોકરી સાથે ઉચ્ચ અભ્યાસ કર્યો હોય-રેગ્યુલર અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારોને પોતાના ચાલુ નોકરીના અભ્યાસના-ડિગ્રીના માર્કસ દૂર કરવા માટે આદેશ કરાયો છે.
હાઈકોર્ટના આદેશથી હવે ધો.6થી8ના શિક્ષકની ભરતીમાં ઉમેદવારોના માર્ક મેરિટમાંથી દૂર કરાશે
કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પીટિશન કરી હતી કે વિદ્યાસહાયકની ભરતીમાં ઉમેદવારી કરનારામાંથી કેટલાક ઉમેદવારોએ જ્ઞાન સહાયકની ચાલુ નોકરીમાં પીજી આર્ટસ-સાયન્સની ડિગ્રી માટે વધુ અભ્યાસ કર્યો હતો.જ્ઞાન સહાયકની ભરતીમાં ટેટ પાસ સાથે ગ્રેજ્યુએશન જ મંગાયુ હોય અનેક ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કર્યા બાદ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક તરીકેની ચાલુ નોકરીએ રેગ્યુલર મોડમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.ઉપરાંત વિદ્યાસહાયકની ભરતીમાં ચાલુ નોકરીએ કરેલા આ ઉચ્ચ અભ્યાસના માર્કસ ઉમેર્યા હતા.જેથી મેરિટમાં તેઓ ઉપર આવી શકે. હાઈકોર્ટમાં થયેલી પીટિશનમાં કોર્ટે પ્રાથણિક શિક્ષણ નિયામક કચેરીને આવા ઉમેદવારોના માર્કસ દૂર કરવા આદેશ કર્યો છે.
જેથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ ચાલુ નોકરીએ ઉચ્ચ અભ્યાસ કરાનારા તમામ ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિને અરજી કરીને પોતાની રીતે ઉચ્ચ અભ્યાસના માર્કસ દૂર કરવા માટે આદેશ કર્યો છે.આમ હવે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર મોડમાં અભ્યાસ કરનારા તમામ ઉમેદવારો ફસાયા છે અને તેઓએ લાયકાતના ગુણ દૂર કરવા પડશે.જો ઉમેદવારો પોતાની રીતે માર્કસ દૂર નહીં કરે તો સરકાર દ્વારા પોતાની રીતે તપાસ કરાવાશે અને સમિતિના ઘ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.