વડોદરા: દેશમાં ભાજપને નિરાશાજનક સફળતા મળી છે અને NDA સાથે મળીને સરકાર બનાવી છે. આ સમયે વડોદરા શહેરના ભાજપ પ્રમુખ વિજય શાહના નિવેદને ભારે વિવાદ સર્જ્યો છે. તેમણે શહેરના નવનિર્મિત સાંસદ ડૉ. હેમાંગ જોશીના અભિવાદન સમારોહમાં નિવેદન આપતા જે વૉર્ડમાંથી મત નથી મળ્યા ત્યાં કામ નહિ કરવાની વાત કરી હતી. જો કે તેમના આ નિવેદને પાર્ટીમાં અંદરોઅંદર ડખા ખડા કરી દીધા હતા. સૌનો સાથ સૌનો વિકાસ કરનારી પાર્ટીના નેતાના નિવેદને ‘જેમનો સાથ તેમનો વિકાસ’ની વાત કરતાં વિવાદ સર્જાયો છે.

વિજય શાહે સલાહ આપતા જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાજપને સતત ટેકો આપનાર વોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવાઆ જણાવ્યું હતું. આપણે જોયું છે કે 2019, 2020 ની કોર્પોરેશનની ચૂંટણી હોય, 2022 ની વિધાનસભા ચૂંટણી હોય કે 2024 ની લોકસભાની ચૂંટણી હોય આપણને અમુક જ ક્ષેત્રમાંથી મત મળે છે. રામપુરા વિધાનસભા પરથી આપણને મત નથી મળતા અથવા ખૂબ જ ઓછા મળે છે.
તેમણે કહ્યું હતું કે અમૂક બુથ પરથી આપણને ખૂબ જ ઓછા મત મળ્યા છે. ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એ કયા વિસ્તારોને કામ માટેની પ્રાથમિકતા આપવી એ વિચારવાનો હવે સમય આવી ગયો છે. અમારા બજેટના પૈસા એવા વિસ્તારો પાછળ ન વાપરો કે જ્યાંથી દસ-પંદર વર્ષથી મતો નથી મળ્યા. જો કે વિજય શાહના નિવેદનથી ભાજપે અંતર બનાવી લીધું હતું.
માંજલપુરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ કહ્યું હતું કે વડોદરાના ભાજપ અધ્યક્ષનું નિવેદન માનવું એ કાર્યકરો માટે ફરજિયાત નથી. આ તેમની અંગત વિચારધારા હોય શકે છે અને તેના આધારે તેમણે આવું નિવેદન આપ્યું હોય એવું બની શકે. તેમના આ નિવેદનથી હું સહમત નથી, જ્યારે જનપ્રતિનિધિ તરીકેની શપથ લઈએ છીએ ત્યારે જાતિ, પંથ કે ધર્મના ભેદભાવો ન રાખવા જોઈએ.

