Anti Naxal Operations CRPF: દેશમાંથી નક્સલીઓને ખતમ કરવાનું મિશન તેના ચરમસીમા પર પહોંચી રહ્યું છે અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ૨૦૨૬માં અત્યાર સુધીમાં છ રાજ્યોમાં માઓવાદીઓ સાથે જોડાયેલા હથિયારો અને વિસ્ફોટકોના ૫૭ જથ્થાનો પર્દાફાશ કર્યો છે, જેમાં ૧૦૧ થી વધુ હથિયારો, વિસ્ફોટકો સહિત IED બનાવવાની સામગ્રી મળી આવી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
CRPF એ અનેક પ્રકારના ખતરનાક હથિયારો જપ્ત કર્યા
અધિકારીઓએ જણાવ્યું કે અર્ધલશ્કરી દળે છ રાજ્યો – છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને મધ્ય પ્રદેશ – માં દરોડા દરમિયાન વિવિધ પ્રકારની બંદૂકો (AK-47, ઇન્સાસ, .303 અને દેશી) ઉપરાંત કુલ ૫૨ IED, ૪૦૫ કિલોગ્રામ વિસ્ફોટક, ૧,૦૯૩ થી વધુ ડિટોનેટર તથા અન્ય સામાન જપ્ત કર્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે બળવાખોર વિચારધારા પ્રત્યેની કોઈ પણ પ્રકારની સહાનુભૂતિને રોકવા માટે, એજન્સીએ ૨૦૨૬માં અત્યાર સુધીમાં જંગલોમાં માઓવાદીઓ દ્વારા નિર્મિત ૧૭૫ કથિત સ્મારકોને પણ તોડી પાડ્યા છે.
CRPF ના મહાનિર્દેશક જી.પી. સિંહે આપ્યું નિવેદન
દળની ૮૭મી સ્થાપના દિવસ પરેડના અવસર પર અહીં એક પત્રકાર પરિષદમાં CRPF ના મહાનિર્દેશક જી.પી. સિંહે કહ્યું કે દળ અન્ય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે અને નિર્ધારિત સમય મર્યાદામાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરવાના સરકારના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે. ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાંથી નક્સલવાદને ખતમ કરવા માટે ૩૧ માર્ચની સમય મર્યાદા નક્કી કરી છે.
દેશના ટોપ નક્સલી નેતાઓમાં ૪ બચ્યા છે
CRPF અને છત્તીસગઢ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે નક્સલીઓના ટોપ નેતાઓમાં હવે ચાર બચ્યા છે, જે નક્સલીઓની ટોપ સેન્ટ્રલ કમિટી અને પોલિત બ્યુરો સભ્ય છે. આમાં સૌથી ટોચ પર મોસ્ટ વોન્ટેડ દેવજી ઉર્ફે દેવન્ના ઉર્ફે ચેતન છે. મૂળ તેલંગાણાના રહેવાસી દેવજીની મૂવમેન્ટ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડરની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.

