EVM Reliability Survey Karnataka: ઈવીએમ પર જનતાને અતૂટ વિશ્વાસ, ખુદ કોંગ્રેસ સરકારના સર્વેમાં થયો મોટો ખુલાસો, રાહુલ ગાંધીના દાવાઓ ફેઈલ?

Arati Parmar
4 Min Read

EVM Reliability Survey Karnataka: કોંગ્રેસના નેતૃત્વ વાળી કર્ણાટક સરકાર દ્વારા ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ (EVM) પર જનતાએ મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે. આ સર્વે સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે, જેમણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા.

સર્વેનું શીર્ષક ‘નાગરિકોના જ્ઞાન, દ્રષ્ટિકોણ અને વર્તન પર કરવામાં આવેલા અંતિમ સર્વેનું મૂલ્યાંકન’ હતું. આમાં ૮૩.૬૧ ટકા સહભાગીઓએ કહ્યું કે તેમને ઈવીએમ પર વિશ્વાસ છે. કુલ મળીને ૬૯.૩૯ ટકા સહભાગીઓએ માન્યું કે ઈવીએમ સાચા પરિણામો આપે છે, જ્યારે ૧૪.૨૨ ટકા લોકોએ આ વાત સાથે પૂરેપૂરી સંમતિ દર્શાવી હતી. આ સર્વે ૫,૧૦૦ સહભાગીઓ વચ્ચે ૧૦૨ વિધાનસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. આમાં બેંગલુરુ, બેલગાવી, કલબુર્ગી અને મૈસુર વહીવટી વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા હતા. કર્ણાટક સરકારે આ સર્વે મુખ્ય નિર્વાચન અધિકારી વી. અનબુકુમારના માધ્યમથી કરાવ્યો હતો.

- Advertisement -

આંકડાઓમાં સૌથી વધુ વિશ્વાસ કલબુર્ગીમાં જોવા મળ્યો હતો, જ્યાં ૮૩.૨૪ ટકા લોકોએ સંમતિ અને ૧૧.૨૪ ટકાએ પૂર્ણ સંમતિ દર્શાવી કે ઈવીએમ ભરોસાપાત્ર છે. મૈસુરુમાં ૭૦.૬૭ ટકાએ સંમતિ અને ૧૭.૯૨ ટકાએ પૂર્ણ સંમતિ દર્શાવી. બેલગાવીમાં ૬૩.૯૦ ટકાએ સંમતિ અને ૨૧.૪૩ ટકાએ પૂર્ણ સંમતિ દર્શાવી. બેંગલુરુમાં પૂર્ણ સંમતિ સૌથી ઓછી ૯.૨૮ ટકા રહી, જોકે ૬૩.૬૭ ટકાએ સંમતિ દર્શાવી હતી. બેંગલુરુમાં તટસ્થ મતો સૌથી વધુ ૧૫.૬૭ ટકા રહ્યા હતા.

ભાજપે કર્યો વળતો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘણી વખત ભાજપ અને કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) પર ઈવીએમમાં ગેરરીતિ અને ‘વોટ ચોરી’ ના આક્ષેપો કર્યા છે. આ સર્વેના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના વિપક્ષી નેતા આર. અશોકે એક્સ (X) પર લખ્યું, ‘વર્ષોથી રાહુલ ગાંધી આખા દેશમાં એ જ વાર્તા સંભળાવી રહ્યા છે કે ભારતનું લોકતંત્ર ‘ખતરામાં’ છે, ઈવીએમ ‘અવિશ્વસનીય’ છે અને આપણી સંસ્થાઓ પર ભરોસો કરી શકાય નહીં. પરંતુ કર્ણાટકે બિલકુલ અલગ વાર્તા કહી છે.’ ભાજપે કહ્યું કે રાજ્યવ્યાપી સર્વેએ એ દર્શાવ્યું કે લોકો ચૂંટણી, ઈવીએમ અને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયા પર ભરોસો કરે છે. તેમણે કહ્યું, આ કોંગ્રેસના મોઢા પર ‘એક તમાચો’ છે.

- Advertisement -

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતપત્રોનો (બેલેટ પેપર) ઉપયોગ કરી રહેલી કર્ણાટક સરકારની ટીકા કરી હતી. પાર્ટીએ કહ્યું કે, જનતાનો સ્પષ્ટ વિશ્વાસ હોવા છતાં સિદ્ધારમૈયા સરકાર કર્ણાટકને પાછળ લઈ જઈ રહી છે અને સ્થાનિક ચૂંટણીઓમાં મતપત્રોની જાહેરાત કરી રહી છે, જે ગેરરીતિ, વિલંબ અને દુરુપયોગ માટે જાણીતા છે.

શાઇના એનસીએ શું કહ્યું?

શિવસેના નેતા શાઇના એનસીએ પણ કર્ણાટક સરકાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર કરવામાં આવેલા તાજા સર્વે પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ ક્યારેય સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા પર ભરોસો કર્યો નથી. તેમણે ઉમેર્યું કે, કર્ણાટક નિરીક્ષણ અને મૂલ્યાંકન સત્તામંડળ (KMEA) એ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર આ સર્વે કર્યો, જેમાં ૫,૧૦૦ લોકો સામેલ થયા હતા. સર્વેમાં ૯૧.૩ ટકા લોકોએ માન્યું કે ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.

- Advertisement -

શાઇના એનસીએ વધુમાં કહ્યું કે, આનાથી ઈવીએમ અને ચૂંટણી પંચ પરની તમામ શંકાઓ દૂર થઈ જાય છે. મને લાગે છે કે હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી માટે દેશની માફી માંગવાનો સમય આવી ગયો છે, કારણ કે તેમણે માત્ર જૂઠાણું ફેલાવ્યું છે. આ સર્વેએ તે દાવાઓનો હંમેશા માટે અંત લાવી દીધો છે.

Share This Article