PM Modi Myanmar Earthquakes: મ્યાનમાર માટે ભારતનું ‘ઓપરેશન બ્રહ્મા’! PM મોદીએ જનરલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી

Arati Parmar
3 Min Read

PM Modi Myanmar Earthquakes: મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે મ્યાનમારના જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ઘડીએ એકતાનું આશ્વાસન આપ્યું હતું.

પીએમ મોદીએ મ્યાનમારના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે ભારત, એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે આ મુશ્કેલ સમયમાં મ્યાનમારની સાથે ઉભું છે.

વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકો પર ઊંડી સંવેદના વ્યક્ત કરી

પીએમ મોદીએ મ્યાનમારના જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે વાતચીત કરીને સોશિયલ મીડિયા એપ X પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકો પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી દેશ તરીકે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકતાથી ઉભું છે. ‘ઓપરેશન બ્રહ્મા’ હેઠળ આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે.’

ભારતે રાહત સામગ્રી રવાના કરી  

ઉલ્લેખનીય છે કે, મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપ પછી ભારતે રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલી દીધો  છે. ભારત તરફથી મ્યાનમારને સહાય રૂપે 15 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. હિંડોન આવેલા IAF ના હિંડોન સ્ટેશનથી ભારતીય વાયુસેના (IAF) ના C-130J વિમાન દ્વારા મ્યાનમાર રાહત સામગ્રી મોકલવામાં આવી છે. આ રાહત પેકેજમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખાવાનો તૈયાર ખોરાક, વોટર પ્યુરીફાયર, સ્વચ્છતા કીટ, સોલર લેમ્પ, જનરેટર સેટ અને પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પટ્ટાઓ જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

મ્યાનમારમાં 1000થી વધુ લોકોના મોત

હકીકતમાં, શુક્રવારે મ્યાનમાર અને તેના પડોશી દેશ થાઇલેન્ડમાં આવેલા વિનાશકારી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં બહુમાળી ઇમારતો, પુલો અને ડેમનો નષ્ય થઈ ગયા હતા. આ ભૂકંપને કારણે મ્યાનમારમાં આશરે 1000 લોકો મૃત્યુ પામ્યા છે, તેમજ  1700થી લોકો ઘાયલ થયા છે. શુક્રવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા 7.7 હતી અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું. આ પછી પણ ભૂકંપના ઘણા આંચકા અનુભવાયા હતા.

Share This Article