નવી દિલ્હી, તા. 28 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગાણા, સિક્કિમ, મેઘાલય, આસામ, છત્તીસગઢ, પંજાબના રાજ્યપાલ બદલ્યા છે. રાષ્ટ્રપતિ ભવને શનિવારે મોડી રાત્રે આ માહિતી જાહેર કરી. બીજી તરફ પંજાબના વર્તમાન રાજ્યપાલ બનવારી લાલનું રાજીનામું સ્વીકારીને ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ અને ચંદિગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ છ નવી નિમણૂક કરી હતી તો ત્રણ રાજ્યપાલના રાજ્ય બદલાવ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ પદે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમને મણિપુરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે. કૈલાસનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પંજાબના રાજ્યપાલ અને ચંદિગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં હવે રમેશ બૈસ રાજ્યપાલ છે. સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમપ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ 22 જુલાઇએ પૂર્ણ થયો છે. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત માટે નવા રાજ્યપાલની તલાશ શરૂ કરી દીધી છે. કનૈયાલાલ મુનશી (યુપી), જયસુખલાલ હાથી (પંજાબ), સર ચંદુલાલ ત્રિવેદી (આંધ્ર), ખંડુભાઈ દેસાઈ (આંધ્ર), કુમુદબેન જોષી (આંધ્ર), કૃષ્ણકુમારાસિંહજી (તામિલનાડુ), કે. કે. શાહ (તામિલનાડુ), પ્રભુદાસ પટવારી (તામિલનાડુ), ગોપાલ કૃષ્ણ ગાંધી (પ. બંગાળ), વિરેન શાહ (પ. બંગાળ), વજુભાઈ વાળા (કર્ણાટક), આનંદીબેન પટેલ (મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ), મંગુભાઈ પટેલ (મધ્યપ્રદેશ) આ 13 ગુજરાતી ગવર્નર બન્યા.

