ન્યૂયોર્ક, તા. 23 : માનવતાની સફળતા યુદ્ધનાં મેદાન પર નથી, શાંતિમાં છે. દુનિયામાં શાંતિ, વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં બદલાવ જરૂરી છે, તેવું આહ્વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારની રાત્રે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની `સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધન કરતાં કર્યું હતું. ક્વાડ શિખર સંમેલન અમેરિકા સહિત વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ટેક્નોક્રેટ દિગ્ગજો સાથે સતત મુલાકાતોના દોર સાથે ધમધમાટભર્યા નવમા અમેરિકા પ્રવાસનાં અંતિમ ચરણમાં ભારતના વડાપ્રધાને આતંકવાદને શાંતિનાં લક્ષ્યના માર્ગ પર મોટો પડકાર લેખાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને ચાર મિનિટના ભાષણમાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાયબર સુરક્ષા, સમુદ્રી અને હવે તો અવકાશમાં પણ સંઘર્ષના નવા પડકારો સામે આવવા માંડયા છે, ત્યારે વૈશ્વિક કાર્યવાહી વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાને અનુરૂપ હોવી જોઈએ. `એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ માટે ભારત પ્રતિબદ્ધ છે.

આપણે એક એવું વૈશ્વિક ડિજિટલ શાસન ઈચ્છીએ છીએ, જેમાં સંપ્રભુતા અને અખંડિતતા અખંડ, અકબંધ રહે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સેતુ બનવો જોઈએ, અવરોધ નહીં, તેવા વિચારો મોદીએ યુનોના વૈશ્વિક મંચ પરથી વ્યકત કર્યા હતા. `સમિટ ફોર ફ્યુચર’ એટલે કે, `ભવિષ્ય માટેનાં શિખર સંમેલન’ને સંબોધન કરતાં વડાપ્રધાન મોદી બોલ્યા હતા કે, ત્રીજીવાર જનાદેશ મેળવ્યા પછી અહીં આવ્યો છું. અમે ભારતના અઢી કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. ભારતે બતાવી આપ્યું છે કે, સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે સફળતાના આ અનુભવોનો ગ્લોબલ સાઉથને પણ લાભ આપવા ઈચ્છીએ છીએ, તેવું મોદી બોલ્યા હતા.
ભાષણના પ્રારંભમાં વડપ્રધાને કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત અને 140 કરોડ ભારતીયો તરફથી આપ સૌને નમસ્કાર. મિત્રો, આજે જ્યારે આપણે વૈશ્વિક ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, ત્યારે માનવતાવાદી અભિગન સર્વપ્રથમ હોવો જોઈએ, તેવું સૂચન મોદીએ કર્યું હતું. સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ એટલે કે, લાંબાગાળાના ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપતાં આપણે સૌએ માનવ કલ્યાણ, અન્ન તેમજ આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરત પર ફરી ફરીને ભાર મૂકતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જી-20 શિખર સંમેલનમાં આફ્રિકી સંઘનું સ્થાયી સભ્યપદ આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું હતું.

