RSS Caste Census Stand: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ જાતિ જનગણનાને લઈને પોતાનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું છે. RSSનું કહેવું છે કે તે કલ્યાણકારી ઉદ્દેશ્યો માટે આનું સમર્થન કરે છે, પરંતુ તેને સમાજને વહેંચવા માટે ઉપયોગમાં લેવાનો વિરોધ કરે છે.
RSSના રાષ્ટ્રીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે સંગઠન જાતિના મુદ્દાને સામાજિક સમરસતાના દૃષ્ટિકોણથી જુએ છે, નહીં કે ટકરાવના રૂપમાં. તેમણે કહ્યું, ‘જો પરસ્પર પ્રેમ વધે અને ભેદભાવ ખતમ થઈ જાય, તો મોટી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. સમરસતા વિના નાના મુદ્દાઓ પણ મોટા વિવાદ બની જાય છે.’
સામાજિક સમરસતા પર ભાર
તેમણે જણાવ્યું કે મંદિરો, સ્મશાન ઘાટ, પાણીના સ્ત્રોતો અને જાહેર સ્થળોએ દરેકનો પ્રવેશ ખુલ્લો હોવો જોઈએ અને RSSના સ્વયંસેવકો સ્થાનિક સ્તરે આવી ચિંતાઓને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે વિદ્યા ભારતી, વનવાસી કલ્યાણ આશ્રમ, એકલ વિદ્યાલય અને સેવા ભારતી જેવી સંસ્થાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ સંગઠનો એક મોટા જનસંપર્ક નેટવર્કનો ભાગ છે.
મહિલાઓની ભાગીદારી પર શું કહ્યું?
મહિલાઓની ભાગીદારીના મુદ્દે, આંબેકરે ‘રાષ્ટ્રીય સેવિકા સમિતિ’ ની સમાંતર વ્યવસ્થાનો બચાવ કરતા કહ્યું કે તે RSSની ‘શાખા’ પ્રણાલીની જેમ જ કામ કરે છે. સાથે જ, તેમણે મહિલાઓની ભૂમિકાને વધુ વિસ્તાર આપવાની જરૂરિયાતનો પણ સ્વીકાર કર્યો. તેમણે જણાવ્યું કે ‘મહિલા સમન્વય’ નામના એક તંત્ર દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયા અને જનસંપર્ક અભિયાનોમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે.
BJP સાથેના સંબંધો પર શું બોલ્યા?
RSS-BJP સંબંધો પર આંબેકરે કહ્યું કે RSS એક સામાજિક સંગઠન છે, જે વ્યક્તિ નિર્માણ પર કામ કરે છે. ભાજપ સાથેના સંબંધોને લઈને તેમણે સ્પષ્ટ કર્યું કે બંને સંગઠનો સ્વતંત્ર રીતે કામ કરે છે. આંબેકરે હિંદુત્વને ‘એકજૂથ કરનારો વિચાર’ ગણાવતા કહ્યું કે તે ‘વસુધૈવ કુટુંબકમ’ જેવા સિદ્ધાંતો પર આધારિત છે, જે વિવિધતામાં એકતાને મજબૂત કરે છે. તેમણે ઉમેર્યું કે ભારતનું મોડેલ સમાજ-કેન્દ્રિત છે, જ્યારે પશ્ચિમનું મોડેલ રાજ્ય-કેન્દ્રિત હોય છે.

