Sleeper Bus Safety Regulations: સ્લીપર બસોના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર કડક પગલાં ભરવા પર કામ કરી રહી છે. આ હેઠળ સ્લીપર બસોના મેન્યુફેક્ચરિંગ માટે સરકાર માત્ર વોલ્વો, મર્સિડીઝ, ટાટા, અશોક લેલેન્ડ અને આઈશર જેવી મોટી કંપનીઓને જ આ જવાબદારી સોંપવાની તૈયારી કરી રહી છે, જ્યારે સ્થાનિક સ્તરે બસ બનાવતા બસ બોડી બિલ્ડરો એટલે કે લોકલ બસ વેન્ડરો પર સ્લીપર બસો બનાવવા પર પ્રતિબંધ મૂકવાનું આયોજન છે.
કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
સૂત્રોએ જણાવ્યું કે આ મામલે તાજેતરમાં કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ૨૦૨૪-૨૫ માં સ્લીપર બસોમાં થયેલા અકસ્માતોની વિગતો લેવામાં આવી હતી. ખાસ કરીને ૧૪ થી ૨૮ ઓક્ટોબરની વચ્ચે બનેલી પાંચ મોટી ઘટનાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ડિમાન્ડ-સપ્લાય જેવા મુદ્દાઓ પર ચર્ચા
આ બાબતે હવે દેશમાં માંગ (ડિમાન્ડ) અને પુરવઠા (સપ્લાય) વિશે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકલ બસ વેન્ડરો માટે સ્લીપર બસ બનાવવા પર પ્રતિબંધ મૂકતા પહેલા દેશમાં એ પણ જોઈ લેવામાં આવે કે શું દેશમાં જેટલી સ્લીપર બસોની માંગ છે, તેટલી બસો આ કંપનીઓ બનાવી શકે તેમ છે.
સરકાર પ્લાન પર કરી રહી છે કામ
આ મામલે અત્યારે એક બજેટમાં સ્લીપર બસો બનાવવા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેથી વોલ્વો અને મર્સિડીઝની બે કરોડ રૂપિયાથી વધુની બસો બસ માલિકોને મોંઘી ન પડે. વચ્ચેનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે.
સુવિધાજનક મુસાફરી પર પણ વિચાર
બસ સંચાલકોનું કહેવું છે કે ચેસિસ પર લોકલ વેન્ડર પાસે બસ બોડી બનાવવામાં ૩૫ થી ૪૦ લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ આવે છે. આવી સ્થિતિમાં સરકારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જો લોકલ બસ વેન્ડરો પર સ્લીપર બસો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો બજારમાં બસ માલિકોને સ્લીપર બસો તેમના બજેટમાં મળી રહે. અન્યથા, લોકો માટે પણ તેની મુસાફરી મોંઘી થઈ શકે છે.

