નવી દિલ્હી: નવી દિલ્હી બેઠક પરથી જીતીને પ્રથમવખત સંસદમાં પહોંચેલા બાંસુરી સ્વરાજે સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન તેમણે પ્રથમ સ્પીચ આપી હતી. તેમના સંબોધનમાં તેમણે કટોકટીના મુદ્દે કોંગ્રેસને ભીંસમાં લીધી હતી, તો દિલ્હીમાં થયેલા પ્રથમ વરસાદથી જળમગ્નની સ્થિતિને લઈને પણ AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તે પીએમ મોદીનો જોરદાર બચાવ કરતાં જોવા મળ્યા હતા. બાંસુરીના ભાષણમાં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની ઝલક જોવા મળી હતી. તેની માતાની જેમ બાંસુરીનું ભાષણ પણ સુસંસ્કૃત અને સ્પષ્ટ અને સ્વચ્છ હિન્દી શબ્દોથી ભરેલું છે. સુષ્મા સ્વરાજની જેમ તેઓ પણ એ જ જોરદાર રીતે ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા જોવા મળ્યા હતા.

બાંસુરી સ્વરાજની ભાષણ આપવાની છટા તેમના માતા જેવી છે. સુષ્માની જેમ સોમવારે લોકસભામાં પોતાના પ્રથમ ભાષણમાં તેમણે મહાભારતના અવતરણોનો ઉલ્લેખ કર્યો હતો.
આજે લોકસભામાં તેમનો અંદાજ સુષ્મા સ્વરાજ જેવો જ લાગતો હતો. બાંસુરી પોતાની આંગળી ઉંચી કરીને મુદ્દાઓ પર તે જ રીતે બોલતા હતા જે રીતે તેમની માતા સુષ્મા સ્વરાજ એ જ ગૃહમાં બોલતા હતા. સુષ્મા સ્વરાજની જેમ તેમણે પણ આદરણીય સ્પીકર કહીને ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તે અનુરાગ ઠાકુરે રજૂ કરેલા રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવનું સમર્થન કરે છે. તેમણે તેમની પાર્ટી અને પ્રમુખ ઓમ બિરલાને આટલા મહત્વપૂર્ણ મુદ્દા પર તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવા બદલ આભાર માન્યો હતો.
બાંસુરીએ કહ્યું હતું કે એક દાયકામાં પહેલીવાર એવી સરકાર બની છે કે જેની કથની અને કરણીમાં અંતર નથી. જે કહ્યું છે તે કરી બતાવ્યું છે. કલમ 370ની નાબૂદી, ભવ્ય રામમંદિરનઉઈ નિર્માણ, CAA લઈને આવ્યા અને વન રેન્ક વન પેન્શન લઈને આવ્યા, મેક ઇન ઈન્ડિયાનો પાયો નાખ્યો. છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને એટલી મજબૂત બનાવી છે કે 11 માં સ્થાનેથી 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.
તેમણે કહ્યું કે આ સંબોધન ઐતિહાસિક છે, કારણ કે તે માત્ર છેલ્લા એક દાયકામાં મોદી સરકારના અદ્વિતીય કાર્યને દર્શાવે છે પરંતુ આવનારા સુવર્ણકાળ એટલે કે વિકસિત ભારતના સંકલ્પની પણ જાહેરાત કરે છે. મોદીજીની જનકલ્યાણકારી યોજનાઓની અસર અને વિકસિત ભારતના તેમના વિઝનમાં જનતાના વિશ્વાસને કારણે જનતાએ NDAને સંપૂર્ણ બહુમતીનો જનાદેશ આપ્યો છે.

