નવી દિલ્હી, તા. 25 : દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કેન્દ્ર સરકારને ઝટકો આપતાં કહ્યું હતું કે, રાજ્યો પાસે બંધારણ હેઠળ ખાણ અને ખનિજોવાળી ભૂમિ પર રોયલ્ટી વસૂલવાનો કાનૂની અધિકાર છે.

મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ નવ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠે આઠ વિરુદ્ધ એકના બહુમત સાથે આ ફેંસલો આપતાં જણાવ્યું કે, ખનિજો પર લાગતી રોયલ્ટી વેરો નથી. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે,?ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન કાયદો રાજ્યોની વેરા વસૂલવાની શકિતઓને સીમિત કરતો નથી. રાજ્યો રાજી થાય, તેવા ચુકાદામાં સુપ્રીમની ખંડપીઠે સ્પષ્ટ કરી આપ્યું છે કે, રાજ્યોને ખાણો અને ખનિજોની જમીન પર રોયલ્ટી વસૂલવાનો પૂરો અધિખકાર બંધારણે જ આપ્યો છે.
હકીકતમાં અલગ-અલગ રાજ્ય સરકારો અને ખનિજ કંપનીઓ તરફથી સુપ્રીમ કોર્ટને કુલ્લ 86 અરજીઓ કરાઇ નથી. સુપ્રીમ કોર્ટમાં આઠ દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, રાજ્યોને આવો અધિકાર હોવો ન જોઇએ. ખાણો અને ખનિજો પર કેન્દ્ર તરફથી અત્યાર સુધી વેરા વસૂલાતના મુદ્દા પર 31 જુલાઇના સુનાવણી થશે. નવ ન્યાયમૂર્તિની સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં ઋષિકેશ રોય, અભય એસ. ઓકા, બી.વી. નાગરત્ના, જે. બી. પારડીવાલા, મનોજ મિશ્રા, ઉજ્જવલ ભુઇયાં, સતીશચંદ્ર શર્મા અને ઓગસ્ટીન જોર્જ સામેલ હતા. આ નવ જજમાંથી એકમાત્ર બી.વી. નાગરત્નાએ અલગ મત આપતાં કહ્યું હતું કે, આવા અધિકારથી રાજ્યોમાં સ્પર્ધા વધશે. કેન્દ્ર સરકારે એવી દલીલ કરી હતી કે, જો આવો અધિકાર રાજ્યોને અપાશે તો રાજ્યોમાં મોંઘવારી વધશે. ખાણ-ખનિજ ક્ષેત્રમાં સીધાં વિદેશી રોકાણમાં મુશ્કેલી સર્જાશે. ભારતીય ખનિજો મોંઘા થશે. ખાણ-ખનિજ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે, વીજળી, સ્ટીલ સિમેન્ટ, એલ્યુમિનિયમ વગેરે માટે કાચો માલ ખનિજોમાંથી જ મળે છે, એ જોતાં રાજ્યોને રોયલ્ટી વસૂલવાનો અધિકાર મળશે તો દેશમાં મોંઘવારી વધશે.

