US FARA Records 2026: પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ! ઓપરેશન સિંદૂરથી બચવા અમેરિકા પાસે ૧૦૦ વાર માંગી હતી મદદ, નવા દસ્તાવેજોમાં ખુલાસો

Arati Parmar
5 Min Read

US FARA Records 2026: પ્રોપેગેન્ડાના વાદળો અમુક સમય સુધી રહી શકે છે, પછી સત્યનો સૂર્ય ખીલી ઉઠે છે. પાકિસ્તાનીઓએ ૨૦૨૫માં આખું વર્ષ ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને જૂઠું બોલ્યું, પરંતુ ૨૦૨૬ની શરૂઆતના પહેલા જ અઠવાડિયે પાકિસ્તાની પ્રોપેગેન્ડા અને ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થતા પરના દાવાઓનો પર્દાફાશ થઈ ગયો છે. અમેરિકામાં જાહેર થયેલા નવા દસ્તાવેજો દર્શાવે છે કે, પહલગામ આતંકી હુમલો થયા બાદ પાકિસ્તાને ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે ઓછામાં ઓછી ૧૦૦ વાર ભારતીય હુમલાઓથી બચાવવા માટે આજીજી કરી હતી. એટલું જ નહીં, ૧૦ મેના રોજ સીઝફાયરની જાહેરાત બાદ જ્યારે ભારતે કહ્યું હતું કે આ સીઝફાયર અસ્થાયી છે અને ઓપરેશન સિંદૂર ચાલુ છે, તેના પર પણ પાકિસ્તાન ગભરાયેલું હતું અને અમેરિકામાં પોતાના ‘માલિકો’ પાસે ભારતથી બચાવવા વિનંતી કરી રહ્યું હતું.

અમેરિકી ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ જે દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે, આ વાતો તેમાં નોંધાયેલી છે. આ દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે શહબાઝ શરીફ અને અસીમ મુનીરે મદદના બદલામાં અમેરિકાને વધુ ઇન્વેસ્ટમેન્ટ, સ્પેશિયલ એક્સેસ અને ક્રિટિકલ મિનરલ્સ આપવાની ઓફર કરી હતી, જેની ચર્ચા બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર જાહેર મંચો પરથી કરી છે.

- Advertisement -

પાકિસ્તાને ભારતથી બચવા અમેરિકા પાસે માંગી હતી ભીખ

અમેરિકામાં લો ફર્મ ‘સ્ક્વોયર પેટન બોગ્સ’ એ FARA હેઠળ પોતાના દસ્તાવેજો અપલોડ કર્યા છે, જેનાથી નવા ખુલાસા થયા છે. આ દસ્તાવેજોમાં સામેલ એક લોગ લિસ્ટ દર્શાવે છે કે પાકિસ્તાની ડિપ્લોમેટ્સ અને સંરક્ષણ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન ઇમેઇલ અને ફોન કોલ્સ દ્વારા તેમના અમેરિકી સમકક્ષો સાથે ૧૦૦થી વધુ વખત સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અમેરિકી અધિકારીઓ, વચેટિયાઓ અને અમેરિકી મીડિયા સાથે પણ રૂબરૂ બેઠક કરાવવાની વિનંતી કરવામાં આવી હતી. FARA ફાઇલિંગ દર્શાવે છે કે પાકિસ્તાને મે ૨૦૨૫ના સંઘર્ષ દરમિયાન વોશિંગ્ટનમાં અલગ-અલગ લોબી ફર્મ્સ દ્વારા અમેરિકી સરકારના અનેક વિભાગોનો સંપર્ક કર્યો હતો. આવું ૧૦૦થી વધુ વખત થયું હતું.

આ દસ્તાવેજો સાબિત કરે છે કે પાકિસ્તાને અમેરિકા પાસે ઓપરેશન સિંદૂર ખતમ કરાવવા માટે ભારત સાથે વાતચીત કરાવવાની ગુહાર લગાવી હતી. આ ઉપરાંત પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરાવવામાં મધ્યસ્થતા કરવાની કોશિશનું ‘સ્વાગત’ કર્યું હતું. એટલે કે, તે પાકિસ્તાન હતું જે અમેરિકા પાસે મધ્યસ્થતાની ભીખ માંગી રહ્યું હતું, ભારત નહીં. તેથી ડોનાલ્ડ ટ્રમ્પનો મધ્યસ્થતાનો દાવો પોકળ સાબિત થયો છે.

- Advertisement -

દસ્તાવેજમાં લખેલું છે કે “પાકિસ્તાન ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા હુમલાની સ્વતંત્ર, નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. આમાં અમેરિકાની મદદનું સ્વાગત કરવામાં આવશે. પાકિસ્તાન, સિંધુ જળ સંધિ, આતંકવાદ વિરોધી અને બંને દેશોને વહેંચતા તમામ મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત ઈચ્છે છે.” આમાં આગળ કહેવામાં આવ્યું છે કે “મજબૂત પ્રાદેશિક આતંકવાદ વિરોધી સહયોગમાં અમેરિકાને સામેલ કરવું જોઈએ. પાકિસ્તાન માને છે કે કોઈ ત્રીજો પક્ષ બંને દેશોને વિશ્વસનીય સમજૂતી પર પહોંચવામાં મદદ કરી શકે છે.” આ દસ્તાવેજોમાં આગળ જણાવાયું છે કે “પાકિસ્તાનને પાકિસ્તાની તાલિબાનથી પણ આતંકવાદી જોખમોનો સામનો કરવો પડે છે. ૨૦૨૫ના અમેરિકી DNI વાર્ષિક જોખમ મૂલ્યાંકન રિપોર્ટમાં પાકિસ્તાની તાલિબાનને યુનાઈટેડ સ્ટેટ્સ માટે સંભવિત ખતરો ગણાવવામાં આવ્યો છે.”

પાકિસ્તાને અમેરિકાને શું-શું પ્રસ્તાવો આપ્યા?

દસ્તાવેજો દર્શાવે છે કે ભારત સાથે યુદ્ધ રોકાવવાના બદલામાં પાકિસ્તાને અમેરિકાને અનેક ફાયદાઓ આપવાની ઓફર કરી હતી. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે “પાકિસ્તાન સહિયારા હિતો પર અમેરિકા સાથે પોતાના દ્વિપક્ષીય સંબંધો ફરી શરૂ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવા તૈયાર છે. એક સ્પષ્ટ, દૂરંદેશી એજન્ડા બંને દેશો અને તેમના લોકોના મુખ્ય હિતોને પૂરા કરશે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા અને યુવા દેશોમાંના એક તરીકે, પાકિસ્તાન આર્થિક વિકાસ માટે ઘણી આશાઓ જગાડે છે.” દસ્તાવેજ પરથી જાણવા મળે છે કે પાકિસ્તાને અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદવાની વાત કરી હતી, ખાસ કરીને એનર્જી અને એગ્રિકલ્ચર સેક્ટરમાં.

- Advertisement -

આ ઉપરાંત પાકિસ્તાને અમેરિકાને કહ્યું હતું કે “પાકિસ્તાને ૧૩ અમેરિકી સૈનિકોને મારનાર કાબુલ એબે ગેટ બોમ્બ બ્લાસ્ટના આરોપી આતંકવાદી, ISIS બોમ્બરની ધરપકડ કરીને અને અમેરિકાને સોંપીને, આતંકવાદ વિરોધી લડાઈમાં પોતાની ક્ષમતા અને પ્રતિબદ્ધતા બતાવી છે.” આ દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જે મધ્યસ્થતાનો દાવો કરે છે, તે અસત્ય છે. પાકિસ્તાન, જે ભારત સામેના સંઘર્ષમાં જીતવાના ઢોલ પીટે છે, તે ઢોલ ફાટી ચૂક્યો છે. આનાથી સાફ દેખાય છે કે ભારતના હુમલાઓની તીવ્રતાએ કેવી રીતે પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો હતો અને તે એટલા ડરમાં હતું કે જો યુદ્ધ ચાલુ રહ્યું, તો ભારત તેની સેનાની કમર તોડી નાખશે.

Share This Article