Gurbhej Singh Killed In London: બ્રિટનની રાજધાની લંડનમાં એક ભારતીયની ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પશ્ચિમ લંડનના સાઉથહોલ વિસ્તારમાં બની છે. મેટ્રોપોલિટન પોલીસે શનિવારે જણાવ્યું કે નોર્થ રોડ પર ડોર્મર્સ વેલ્સ લેનના જંકશન પાસે ૨૬ વર્ષના ગુરભેજ સિંહને ચાકુ મારવામાં આવ્યું. સિંહની સાથે અન્ય એક વ્યક્તિને પણ ચાકુ મારવામાં આવ્યું હતું. જોકે તેને ગંભીર ઈજા થઈ ન હતી અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે ડોક્ટરો તરફથી તમામ પ્રયત્નો છતાં ગુરભેજ સિંહનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. સિંહના પરિવારને અધિકારીઓ તરફથી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે સિંહની હત્યા પછી ઓછામાં ઓછા સાત લોકોને શંકાના આધારે પકડવામાં આવ્યા છે.
પોલીસે તપાસ શરૂ કરી
મેટ્રોપોલિટન પોલીસ અનુસાર, બુધવારે વહેલી સવારે લંડન એમ્બ્યુલન્સ સર્વિસે અધિકારીઓને માહિતી આપી હતી. પેરામેડિક્સ ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ ચાકુ વાગવાને કારણે સિંહને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર એલિસન ફોક્સવેલે કહ્યું કે હત્યા સાથે જોડાયેલી પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે.
ફોક્સવેલે કહ્યું, ‘અમારું માનવું છે કે સિંહ પર બુધવારે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ નોર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેનના જંકશન પર એક દુકાનની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. હું કોઈપણ એવા વ્યક્તિને આગળ આવવા આગ્રહ કરીશ, જેની પાસે વિસ્તારનું CCTV ફૂટેજ હોય. અથવા જે તે સમયે વિસ્તારમાં હાજર હતો અને જેણે અત્યાર સુધી પોલીસ સાથે વાત નથી કરી.’
મૃતકના પરિવાર સાથે સંપર્ક
મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે સિંહના પરિવારને વિશેષ અધિકારીઓ મદદ કરી રહ્યા છે. તપાસકર્તાઓ સાક્ષીઓની શોધ અને વિસ્તારમાંથી પુરાવાઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે કારણ કે તેઓ તે ઘટનાઓની કડીઓને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ વસ્તુઓ સ્પષ્ટ થઈ શકશે.
લંડનમાં ભારતીય યુવાનની હત્યા એવા સમયે થઈ છે, જ્યારે બ્રિટનના કેટલાક ભાગોમાં ઇમિગ્રેશન (સ્થળાંતર) અને પબ્લિક સેફ્ટી (જન સુરક્ષા) વિવાદિત મુદ્દાઓ બન્યા છે. ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટમાં સેંકડો લોકો પ્રવાસીઓના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે અને આ પ્રદર્શનોમાં ભારે હિંસા થઈ છે.

