PhonePe wallet inactivity fee: ફોનપે વોલેટ ઇનેક્ટિવ રાખશો તો કપાશે ચાર્જ, જાણો કેવી રીતે બચવું આ દંડથી
PhonePe wallet inactivity fee: ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ કંપની ફોનપે (PhonePe) એ ‘વોલેટ ઇનેક્ટિવિટી મેન્ટેનન્સ ફી’ શરૂ કરી છે, જેમાં ઇનેક્ટિવ વોલેટ પર ૧૦૦ રૂપિયા પ્રતિ ત્રિમાસિક ચૂકવણી કરવી પડશે. જો ફોનપે યુઝર્સ તેમના વોલેટનો ઉપયોગ લાંબા સમય સુધી નથી કરતા તો તેમણે આ માટે ચૂકવણી કરવી પડી શકે છે. કંપનીએ તાજેતરમાં તેમના વોલેટ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. જો યુઝર્સ ૩૬૫ દિવસ સુધી તેમના ફોનપે વોલેટનો ઉપયોગ નથી કરતા તો તેમના પર ૧૦૦ રૂપિયાની ઇનેક્ટિવિટી મેન્ટેનન્સ ફી લગાવવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો જો ૧ વર્ષ સુધી વોલેટમાંથી કોઈ પણ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (નાણાકીય વ્યવહાર) થતું નથી તો ફોનપે તે વોલેટને ઇનેક્ટિવ (નિષ્ક્રિય) માનશે. આવો ફોનપેના આ નવા નિયમ વિશે વિગતવાર જાણીએ.
૧ વર્ષ સુધી ઉપયોગ નહીં કરવા પર લાગશે દંડ
૧૦૦ રૂપિયાની આ ફી ફક્ત તે યુઝર્સ પર લાગુ થશે જેમણે ૧ વર્ષથી વોલેટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી. ફક્ત ફોનપે એપ ખોલવી કે યુપીઆઈ (UPI) પેમેન્ટ કરવાને વોલેટ એક્ટિવિટી માનવામાં આવશે નહીં. ચાર્જથી બચવા અને એકાઉન્ટને ફરીથી એક્ટિવેટ કરવા માટે યુઝર્સે વોલેટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવું પડશે. કંપની ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફી લેતા પહેલા ૧૫ દિવસ દરમિયાન ઘણી વાર યુઝરને વોલેટ ઇનેક્ટિવ હોવા વિશે સૂચના આપે છે અને વોલેટને ફરીથી એક્ટિવેટ કરવાની રીતો પણ જણાવે છે.
જો વોલેટમાં પૂરતું બેલેન્સ છે તો કંપની સીધો ચાર્જ કાપી શકે છે. જો બેલેન્સ ૧૦૦ રૂપિયાથી ઓછું છે તો ફોનપે ઉપલબ્ધ રાશિ લઈ લેશે અને વોલેટ બેલેન્સ નેગેટિવમાં જવાને બદલે શૂન્ય થઈ જશે. જો આ દરમિયાન યુઝર વોલેટનો ઉપયોગ કરીને કોઈ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે છે તો ફોનપે વોલેટનું સ્ટેટસ એક્ટિવ થઈ જશે અને યુઝર પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જો વોર્નિંગ પિરિયડ દરમિયાન કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતી નથી તો ૧૫ દિવસના નોટિસ પિરિયડના અંતે યુઝરના વોલેટ બેલેન્સમાંથી ફી કાપી લેવામાં આવશે.
ફોનપે શા માટે લઈ રહ્યું છે ઇનેક્ટિવ વોલેટ ફી?
ફોનપે એ દર ૩ મહિને ૧૦૦ રૂપિયાની ઇનેક્ટિવ વોલેટ ફીની શરૂઆત કરી છે. આ ફી પ્લેટફોર્મને સતત અપડેટ કરવા, ખામીઓને દૂર કરવા અને યુઝર એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે લેવામાં આવે છે.

