PMLA Cases: PMLA હેઠળ EDના કેસોમાં ચાર વર્ષમાં સૌથી મોટો વધારો, પાંચ વર્ષમાં માત્ર 43 કેસમાં દોષસિદ્ધિ

Arati Parmar
4 Min Read

PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો: PMLA હેઠળ EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો ઓછો

PMLA Cases: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન મંગળવારે (4 ઑગસ્ટે) સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે ED દ્વારા PMLA હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા નાણાકીય વર્ષ 2025-26માં વધીને 1,080 થઈ છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે.

સરકારે એ પણ માહિતી આપી કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એન્ટી-મની લોન્ડરિંગ કાયદા હેઠળ ED દ્વારા નોંધાયેલા કેસોની કુલ સંખ્યા 4,622 થઈ છે. જોકે, આ જ સમયગાળા દરમિયાન માત્ર 43 કેસોમાં દોષસિદ્ધિ થઈ છે.

- Advertisement -

આ માહિતી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના રાજ્યસભા સાંસદ વી. શિવદાસનના પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ વર્ષે 30 જૂન સુધી EDPMLA હેઠળ વિશેષ અદાલતોમાં 2,444 કેસોમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ્સ દાખલ કરી છે.

મંત્રીએ જણાવ્યું, “આ કેસો હાલમાં સુનાવણીના વિવિધ તબક્કામાં છે. EDએ PMLAની જોગવાઈઓ હેઠળ 1,243 આરોપીઓની ધરપકડ કરી છે.”

- Advertisement -

વિચારાધીન કેદીઓની સંખ્યા અંગે તેમણે જણાવ્યું કે હાલમાં જેલમાં રહેલા લોકોનો ડેટા, જેમાંથી કેટલાકને મૂળ (પ્રેડિકેટ) ગુનાની તપાસ કરતી એજન્સીઓએ ધરપકડ કરી છે, તે કેન્દ્રિય સ્તરે જાળવવામાં આવતો નથી.

સંસદમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, આ પહેલાં PMLA હેઠળ સૌથી વધુ 1,116 કેસ વર્ષ 2021-22માં નોંધાયા હતા. ત્યારબાદ 2022-23માં આ સંખ્યા ઘટીને 953 અને 2023-24માં 698 રહી હતી. જોકે, 2024-25માં તે વધીને 775 અને 2025-26માં 1,080 થઈ ગઈ.

- Advertisement -

દોષસિદ્ધિના કેસોની સ્થિતિ

2021-22માં ત્રણ, 2022-23માં નવ અને 2023-24માં 13 કેસોમાં દોષસિદ્ધિ થઈ હતી. ત્યારબાદ 2024-25 અને 2025-26માં આ સંખ્યા ફરી ઘટીને નવ-નવ રહી હતી. આ ચાર વર્ષ દરમિયાન કુલ 43 કેસોમાં 104 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

આમાંથી સૌથી વધુ 38 આરોપીઓને 2024-25 દરમિયાન દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 2022-23માં 24 અને 2023-24 તેમજ 2025-26માં 19-19 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

મંત્રીએ આવકવેરા વિભાગ સાથે સંબંધિત કેસોની વિગતો પણ આપી હતી. તેમણે જણાવ્યું કે 2021-22થી 2025-26 દરમિયાન આવકવેરા વિભાગે કુલ 2,127 પ્રોસિક્યુશન કેસ નોંધ્યા હતા. તેમાં 2025-26માં 432 કેસ નોંધાયા હતા, જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઓછી સંખ્યા છે. તે પહેલાં 2024-25માં 611, 2023-24માં 502 અને 2022-23માં 387 પ્રોસિક્યુશન કેસ નોંધાયા હતા.

ચૌધરીએ જણાવ્યું, “આવકવેરાના કેસોમાં તપાસ પૂર્ણ થયા બાદ અને સંબંધિત હકીકતો નોંધાયા પછી જ આવકવેરા અધિનિયમની કલમ 279(1) હેઠળ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવી પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ્સ દાખલ કરવામાં આવે છે.”

તેમણે જણાવ્યું કે 2025-26માં આવકવેરા વિભાગના કેસોમાં 47 દોષસિદ્ધિઓ થઈ હતી, જ્યારે 293 કેસોમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે.

મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નોંધાયેલા પ્રોસિક્યુશન કેસો અને દોષસિદ્ધિ અથવા નિર્દોષ જાહેર થયેલા કેસોના આંકડાઓ વચ્ચે સીધો સંબંધ હોતો નથી, કારણ કે કોઈ એક વર્ષમાં આવેલા ચુકાદાઓ અલગ-અલગ વર્ષોમાં નોંધાયેલા કેસો સાથે સંબંધિત હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં PMLA સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મામલાઓ સામે આવ્યા છે, જેમાં NewsClick જેવા મીડિયા સંગઠનો સામે મની લોન્ડરિંગની તપાસ, TMCના બેંક ખાતાઓ સાથે જોડાયેલા કેસો અને રાજકીય પરામર્શ કંપની I-PAC સાથે સંબંધિત મામલાઓનો સમાવેશ થાય છે.

આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે PMLA જેવા વિશેષ કાયદા હેઠળ ચાલતા કેસોમાં પણ કોઈ મની લોન્ડરિંગ કેસમાં ગુનાનો સંજ્ઞાન લેતા પહેલાં અદાલત માટે આરોપીનો પક્ષ સાંભળવો જરૂરી છે.

આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી હતી જ્યારે સુપ્રીમ કોર્ટ EDની તે અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે PMLAની વિશેષ અદાલતોને BNSS હેઠળ નિર્ધારિત સામાન્ય ફોજદારી પ્રક્રિયાનું પાલન કરવા માટે ફરજિયાત બનાવી શકાય નહીં.

પીંઠે PMLA અદાલતના તે આદેશને રદ કર્યો હતો, જેમાં આરોપીનો પક્ષ સાંભળ્યા વિના જ ગુનાનો સંજ્ઞાન લેવામાં આવ્યો હતો.

Share This Article