Rampur SP Cow Slaughter Remark: ગૌહત્યા પર SP અનિલ કુમાર સિંહ સિસોદિયાના નિવેદનથી રાજકીય ગરમાવો, કહ્યું- હેતુ માત્ર સૌહાર્દપૂર્ણ અપીલ
Rampur SP Cow Slaughter Remark: ઉત્તર પ્રદેશના રામપુરના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા અંગે આપેલા પોતાના એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વિડિયો મુજબ તેમણે એક નિવેદનમાં કહ્યું, ‘એક સાચો મુસ્લિમ ક્યારેય આ પ્રકારનું કામ કરી શકે નહીં. જે લોકો આ કામ કરી રહ્યા છે, મને બહુ આશ્ચર્ય થાય છે. તેઓ અથવા તો મુસ્લિમ નથી અથવા બહુ હરામી છે. આ હરામીઓનો ઈલાજ કરવો જ મારું કામ છે.’
SP સિંહનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અને વિવાદ વધતા તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમનો હેતુ ‘માત્ર સામાજિક અને સૌહાર્દપૂર્ણ અપીલ’ કરવાનો હતો અને કોઈપણ ધાર્મિક સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.
સિંહના જણાવ્યા મુજબ, છેલ્લા અંદાજે બે અઠવાડિયામાં રામપુર પોલીસ ઓછામાં ઓછી ત્રણ એવી ‘એન્કાઉન્ટર’ ઘટનામાં સામેલ રહી છે, જેમાં કથિત ગૌહત્યાના આરોપીઓનો પોલીસ સાથે સામનો થયો હતો.
તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતાં સિંહે કહ્યું કે ઇસ્લામમાં એવા પ્રાણીની હત્યા કરવી અને તેનું માંસ ખાવું હરામ માનવામાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેનાથી બીજા સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે. તેમણે કેમેરા સામે પત્રકારોને કહ્યું, ‘એક સાચો મુસ્લિમ આવું ક્યારેય કરી શકે નહીં. તેથી જે લોકો આવું કરે છે અને મને આ વાત પર બહુ આશ્ચર્ય થાય છે, તેઓ અથવા તો મુસ્લિમ નથી અથવા હરામી છે.’
સિંહે આગળ ઉમેર્યું, ‘અને હરામીઓ સાથે વ્યવહાર કરવો મારું કામ છે.’
“Har#*iyon ka ilaaz karna hi mera kaam hai”
Anil Singh, superintendent of Police Rampur, Uttar Pradesh, explaining the difference between a “true Muslim” and “harami Muslim”. pic.twitter.com/bDhl98GY4H
— Piyush Rai (@Benarasiyaa) August 7, 2026
નોંધનીય છે કે ‘હરામી’ શબ્દનો અર્થ હરામ કામ કરનાર વ્યક્તિ એટલે કે ધર્મ અથવા નિયમ મુજબ ખોટું, પ્રતિબંધિત, ગેરકાયદેસર અથવા પાપરૂપ કાર્ય કરનાર વ્યક્તિ તરીકે લેવામાં આવી શકે છે, પરંતુ સામાન્ય બોલચાલમાં તેનો ઉપયોગ ઘણી વખત ગાળ તરીકે કરવામાં આવે છે.
આ ટિપ્પણીની ટીકા બાદ સિંહે શુક્રવારે (7 ઑગસ્ટ) રામપુર પોલીસ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે તેઓ દારુલ ઉલૂમ દેવબંદ મદરસાનો ઉલ્લેખ કરી રહ્યા હતા અને તેમની ટિપ્પણી ‘માત્ર સામાજિક અને સૌહાર્દપૂર્ણ અપીલ’ હતી.
સિંહે કહ્યું, ‘જો શ્રાવણ મહિનામાં એવી કોઈ ઘટના બને જેના કારણે બીજા સમુદાયના સભ્યોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે, તો આવા કૃત્યોથી દૂર રહેવું જોઈએ.’
તેમણે કહ્યું કે તેમના ‘નિવેદનનો હેતુ કોઈ ધર્મ, સમુદાય અથવા વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.’
તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઉત્તર ભારતમાં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ મહિનામાં કાંવડ યાત્રાઓ નીકળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં અધિકારીઓએ કાંવડ યાત્રાનો હવાલો આપતાં અનેક સ્થળોએ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
નોંધનીય છે કે આ ટિપ્પણી રામપુર પોલીસ દ્વારા 27 જુલાઈથી કથિત ગૌહત્યાના આરોપીઓ સાથે ઓછામાં ઓછી ત્રણ ‘એન્કાઉન્ટર’માં સામેલ રહેવાના સમયગાળા દરમિયાન આવી છે. પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી આ ઘટનાઓ પછીની તસવીરો અને વિડિયોમાં કેટલાક શંકાસ્પદોના પગમાં ઇજા જોવા મળી હતી અને તેઓ લંગડાતા જોવા મળ્યા હતા.
આમાંથી એક ઘટનાના બાદ સિંહે મંગળવારે જાહેર કરેલા એક વિડિયો નિવેદનમાં દાવો કર્યો હતો કે કેટલાક આરોપીઓએ પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં પોલીસે તેમના પગમાં ગોળી મારી હતી.

