નવી દિલ્હી, તા. 11 : બજેટ પહેલા અંદાજીત 7 કરોડ ઈપીએફઓ સભ્ય માટે રાહતના હેવાલ આવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે ગુરુવારે મોટું એલાન કરતા કર્મચારી ભવિષ્ય નિધિ ડિપોઝિટ માટે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દીધી છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજદર 8.25 ટકા કરવાનું એલાન કર્યું હતું. જેને હવે નાણા મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ છે. ઈપીએફઓએ ગયા વર્ષના 8.15 ટકાના દરથી વધારીને 2023-24 માટે વ્યાજદર 8.25 ટકા કર્યો છે.

ઈપીએફઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર જાણકારી આપતા કહ્યું હતું કે ઈપીએફઓ સભ્ય માટે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકાનો વ્યાજદાર સરકાર દ્વારા મે 2024મા નોટિફાઈ કરી દેવામાં આવ્યો છે. હવે કર્મચારીઓને પીએફનું વ્યાજ એકાઉન્ટમાં જમા થવાની રાહ છે. ઈપીએફઓની શીર્ષ નિર્ણય લેનારી સમિતિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ઉપર વ્યાજ વધારવાનું એલાન કર્યું હતું. પીએફના વ્યાજને વાર્ષિક 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. સીબીટીના નિર્ણય બાદ 2023-24 માટે ઈપીએફ જમા ઉપર વ્યાજદરને સહમતિ માટે નાણામંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. જેને હવે મંજૂરી મળી ચુકી છે. ગયા વર્ષે 28 માર્ચના ઈપીએફઓએ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ખાતા માટે 8.15 ટકા વ્યાજદરની ઘોષણા કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2022 માટે વ્યાજદર 8.10 ટકા હતો.

