કોલંબો, તા. 1 : ટી-ર0 શ્રેણીમાં યજમાન શ્રીલંકાના સૂપડા સાફ કર્યા બાદ ટીમ ઇન્ડિયા વન ડે મુકાબલા માટે સજ્જ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે શુક્રવારે બપોરે ર.30 કલાકથી પહેલો વન ડે જંગ ખેલાશે. કોલંબોમાં હવામાન વાદળછાયું છે અને પહેલા મુકાબલામાં વરસાદનું વિઘ્ન નડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર શુક્રવારે કોલંબોમાં સાંજે 4થી પ વાગ્યા વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના પ1 ટકા છે. રાત્રે 7થી 8 વાગ્યા આસપાસ આંધી અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જેથી વન ડેમાં વારંવાર વરસાદનું વિઘ્ન આવી શકે છે. કોલંબોમાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે મેચ શરૂ થયાથી રાત સુધીમાં વરસાદ પડે તેવી 78 ટકા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ વન ડેની શ્રેણીની બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી 7 ઓગસ્ટે થશે. ત્રણેય મેચ કોલંબોમાં જ રમાવાના છે અને સમય બપોરે ર:30થી રહેશે. વન ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. ભારત પૂરી તાકાત સાથે વન ડે શ્રેણીમાં ઉતરશે.

