અમદાવાદઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનોનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મેડિકલ કોલેજમાં સિક્યોરિટી વધારવા માટે કોલેજોને પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના ચાર મોટા મહાનગરોમાં આવેલી મેડિકલ કોલેજોમાં તાલીમાર્થી ડોક્ટરોની સુરક્ષાને લઈને મેડિકલ કોલેજો એલર્ટ થઈ છે. જેમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ, રાજકોટ મેડિકલ કોલેજ, સુરત સિવિલ મેડિકલ કોલેજ, વડોદરાની સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં સુરક્ષાને લઈને પૂરતા સીસીટીવી કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.

નેશનલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના અનુસંધાને અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં મેડિકલ કોલેજમાં સંપૂર્ણ સિક્યોરિટી છે તથા પૂરતા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે. 24 કલાક આ સીસીટીવી કેમેરા ચાલુ રહે છે. આથી હાલમાં વધારાની સિક્યોરિટીની જરૂરિયાત નથી.
જ્યારે નેશનલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના ઉપલક્ષમાં GMERS મેડિકલ કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે મેડિકલ કોલેજમાં 32 જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે કોલેજના મેઇન ગેટથી લઈને મોટા મોટા એરિયા કવર કરે છે. જ્યારે હજુ પણ સિક્યોરિટીમાં વધારો કરવા માટે મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરાનો ઉમેરો કરવામાં આવશે તથા હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત કોલેજમાં તથા હોસ્ટેલમાં લાઇટિંગ પણ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત જે સેન્સિટીવ એરિયા છે ત્યાં વધુ લાઇટિંગ કરીને સિક્યુરિટી ગાર્ડસ પણ તહેનાત કરી દેવામાં આવશે. વિદ્યાર્થી તથા રેસિડેન્ટ ડોક્ટર ઉપરાંત સ્ટાફની સિક્યોરિટીની પૂરતી કાળજી લેવામાં આવશે.

