નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસ માં દેશભરમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. ગઈ કાલે કોલકાતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને કાર્યવાહી અંગે ઠપકો આપ્યો હતો. એવામાં, આ મામલે સુપ્રીમ કોર્ટ દખલ કરે એવી માંગ ઉઠી છે. મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડ ને એક પત્ર લખી સમગ્ર મામલે સ્વતઃ સંજ્ઞાન (Suo moto) લેવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા બે એડવોકેટ્સએ ગુરુવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને એક પત્ર લખીને કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ડૉક્ટર સાથે રેપ અને હત્યા મામલા અંગે સુઓમોટો લેવા વિનંતી કરી હતી.

એડવોકેટ્સ ઉજ્જવલ ગૌર અને રોહિત પાંડેએ CJIને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આ કેસ માત્ર એક નિર્દોષ જીવનનું ઉલ્લંઘન નથી, તે આપણા રાષ્ટ્રની આત્મા પર હુમલો છે. આપણા મહાન બંધારણને સમર્થન આપે છે તે ન્યાય અને માનવતાના આદર્શોનું ઘોર અપમાન છે. એક જીવનનો જે ક્રૂર રીતે અંત આવ્યો તે આપણા રાષ્ટ્રના સામૂહિક અંતરાત્માને આંચકો આપ્યો છે. એક આશાસ્પદ ડૉક્ટર, જેમણે પોતાની જાતને દર્દીઓની સારવાર અને જીવન બચાવવાની પવિત્ર ફરજ માટે સમર્પિત કરી દીધી. જ્યાં તેણે માનવતાની સેવા કરી હતી તે જ પરિસરમાં તેની નિર્દયતાથી દુર્વ્યવહાર અને હત્યા કરવામાં આવી હતી..
ઇન્ડિયન મેડીકલ એસોસિએશન(IMA)ના પ્રમુખ આરવી અશોકને કહ્યું કે, દેશભરના ડૉક્ટરો કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે આચરવામાં આવેલી નિર્દયતાથી રોષમાં છે. જે યુવતી સાથે આ ઘટના બની તે એક મધ્યમવર્ગીય પરિવારની એકમાત્ર સંતાન હતી. આ ઘટનાને કોઈ એક વ્યક્તિએ અંજામ આપ્યો ન હતો, પરંતુ તેમાં ઘણા લોકો સામેલ હતા. જે રીતે તેની હત્યા કરવામાં આવી તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી.

