ધોમધખતા રણમાં ભરઉનાળે પક્ષીઓનો પડાવ
ચોબારી, તા. 11 : મોટાભાગે વરસાદ થાય ત્યારે જુલાઈ માસમાં પ્રથમ વરસાદના સાત-આઠ દિવસ બાદ સુરખાબ ખાસ કરીને શીરાવાંઢ અને અનરાપર ખડીરની આસપાસ જોવા મળતા હોય છે. પરંતુ ધોમધખતા અસહ્ય તાવની વચ્ચે પણ હજારોની સંખ્યામાં નાના અને મોટા સુરખાબ તેમના બચ્ચાઓ સાથે પૂર્વ કચ્છના રણમાં જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ખાસ કરીને સુરખાબ માટે એવી માન્યતા છે કે તે શિયાળા બાદ બહાર માઈગ્રેટ થાય છે. પરંતુ એવું નથી. અગાઉ પણ કચ્છમિત્રના એક લેખમાં આ લખનારે લખ્યું હતું કે, સુરખાબ એ સ્થાનિક પક્ષી છે.
જ્યારે રણમાં પાણી સુકાય ત્યારે આસપાસના જળાશયોમાં આવ-જા કરે છે. કયારેક દરિયાકિનારે પણ જોવા મળે છે. જ્યાં તેમનો ખોરાક મળી રહે તેવા છીછરા પાણીમાં ખાસ કરીને વધુ જોવા મળે છે અને વરસાદ થતાં બધા જ એકત્રિત થઈને રણમાં ભેગા થાય છે એ હંજબેટ અને બીજી એક સોસાયટી બનાવી ત્યાં અનુકૂળતા પ્રમાણે ઈંડાં મૂકે છે.
સામાન્ય રીતે જુલાઈ ઓગષ્ટથી ઓકટોબર સુધી કચ્છમાં હંજબેટ અને પૂર્વ કચ્છના જ બીજા એક સ્થાન પર તેઓ પાણીની અને ખોરાકની અનુકુળતા જોઈ માળા બાંધી અને ઈંડાં મૂકીને બચ્ચાંઓ સેવે છે અને કચ્છમાં દેશ વિદેશથી આ રૂપકડા પક્ષીને જોવા માટે પક્ષીવિદો આવતા હોય છે. હાલે અસહ્ય ગરમી અને લુ તેમજ તાપની વચ્ચે પણ જ્યાં પાણી અને ખોરાકની સગવડતા છે. ત્યાં હજારોની સંખ્યામાં નાના અને મોટા સુરખાબ જોવા મળી રહ્યા છે અને રણને શોભાયમાન બનાવ્યું છે. આના પરથી એવું માની શકાય કે, રણના જે તે વિસ્તારમાં કાયમી પાણી અને ખોરાકની અનુકુળતા ઉભી કરાય તો સુરખાબ કાયમી એ સ્થળે જોવા મળે છે.
