Pakistan Madrasa Blast : રમઝાનના એક દિવસ પહેલાં શુક્રવારે પાકિસ્તાનના જામિયા હક્કાનિયા મદરેસામાં બોમ્બવિસ્ફોટ થયો હતો. આ હુમલો તાલિબાનના ગોડફાધરના પુત્ર હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું છે. આ ઉપરાંત 4 વધુ લોકો માર્યા ગયા છે.
આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટક જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારી અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે બોમ્બવિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યારસુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
હમીદુલ હક્કાનીને નિશાન બનાવીને હુમલો કર્યો
આ હુમલા બાદ પેશાવરની તમામ મોટી હોસ્પિટલોમાં કટોકટી લાદવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે એ એક આત્મઘાતી બોમ્બવિસ્ફોટ હતો. આમાં મસ્જિદના એક ભાગને પણ નુકસાન થયું છે.
ખૈબર પખ્તુનખ્વાના આઇજીના જણાવ્યા અનુસાર, આ હુમલો મૌલાના હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કર્યો હતો.
મૌલાના હમીદુલ હક્કાની તાલિબાનના ગોડફાધર મૌલાના સમી-ઉલ-હક હક્કાનીના મોટા પુત્ર છે. વરિષ્ઠ હક્કાની અફઘાન તાલિબાનના કટ્ટર સમર્થક હતો. તેણે 1947માં પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મદરેસાઓમાંના એક, દારુલ ઉલૂમ હક્કાનિયાની સ્થાપના કરી.
સમીઉલ હકે તાલિબાનની સ્થાપના કરી હતી અને મુલ્લા ઓમર સહિત ઘણા તાલિબાન નેતાઓને તાલીમ આપી હતી. મૌલાના સમીઉલ હક્કાનીની 2018માં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી.
હક્કાની ગયા વર્ષે અફઘાનિસ્તાનની મુલાકાતે ગયો હતો
હક્કાની ગયા વર્ષે અફઘાનિસ્તાનની મુલાકાતે ગયો હતો અને તાલિબાન નેતાઓને મળ્યો હતો. હક્કાનીએ કહ્યું હતું કે તેની મુલાકાતનો હેતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાનો હતો.
જામિયા હક્કાનિયા મદરેસા પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ મદરેસાના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવણીનો આરોપ છે, જોકે મદરેસાએ હુમલાખોરો સાથે કોઈપણ પ્રકારના સંબંધો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

