Bajrang Dal Leader Satyendra Murder: યુપીમાં બજરંગ દળ નેતાની હત્યાનો ચોંકાવનારો પર્દાફાશ, પરિવારજનો જ બન્યા કાતિલ

Arati Parmar
3 Min Read

Bajrang Dal Leader Satyendra Murder: ઉત્તર પ્રદેશના બિજનૌરમાં જિલ્લા બજરંગ દળના ગૌરક્ષા સંરક્ષણ પ્રમુખ સતેન્દ્ર ઉર્ફે મોન્ટી બજરંગી (30)ની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. અને તેના મૃતદેહને દફનાવવા માટે રૂમમાં પાંચ ફૂટ ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો હતો. આ હત્યા પાછળ મૃતકના મામા ભગેન્દ્રએ પિતા બલરાજ, સાવકી માતા મધુબાલા, પિતરાઈ ભાઈ માનવ ઉર્ફે બન્ટુ, પિતરાઈ બહેન શાલુ અને સાળા અનુજના નામ આપ્યા છે, જે બાદ પોલીસે બન્ટુની ધરપકડ કરી છે.

‘મોન્ટીનો મૃતદેહ એક રૂમમાં ખાટલા પર પડ્યો હતો’

- Advertisement -

કિરાતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુર ગામમાં સતેન્દ્ર ઉર્ફે મોન્ટીના ઘરે સોમવારે સવારે દૂધવાળો દૂધ આપવા ગયો હતો. જ્યાં મોન્ટીની સાવકી માતા મધુબાલા અર્ધબેભાન હાલતમાં જોવા મળી હતી. દૂધવાળાએ ઘરમાં ડોકિયું કર્યું, ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. કેમ કે, મોન્ટીનો મૃતદેહ એક રૂમમાં ખાટલા પર લોહીથી લથબથ હાલતમાં પડેલો હતો. તેના પર ચાદર પણ ઢાંકેલી હતી. આ દરમિયાન મૃતકના પરિવારના ભાઈએ લોકોને દીપડાના હુમલાથી મૃત્યુ થયું હોવાથી માહિતી આપી હતી.

જમીન વિવાદમાં કરાઈ મોન્ટીની હત્યા : એસપી

મોન્ટીના મામા ભગેન્દ્ર અને નાનપુરા ગામના અન્ય સંબંધીઓએ તીક્ષ્ણ હથિયારોથી થયેલા ઊંડા ઘા જોયા, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા. આ દરમિયાન તેમણે પરિવારના સભ્યો પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસને જાણ કરતાં એસપી સિટી સંજીવ વાજપેયી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની માહિતી મેળવી હતી. એસપી અભિષેક ઝાએ જણાવ્યું હતું કે, સત્યેન્દ્ર ઉર્ફે મોન્ટીની હત્યા જમીન વિવાદમાં કરવામાં આવી હતી. મૃતકના મામાની ફરિયાદ પર રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. આ મામલે દરેક પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.

જમીનના હિસ્સામાં મોન્ટીને 10 વીઘા જમીન મળતી હતી

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની સાવકી માતા મધુબાલા, પિતરાઈ ભાઈ માનવ ઉર્ફે બન્ટુ, પિતરાઈ બહેન શાલુ અને સાળા અનુજ જમીન આપવા તૈયાર નહોતા. જમીનના હિસ્સામાં મોન્ટીને 10 વીઘા જમીન મળતી હતી. જે જમીન આપવા અંગે ઘરમાં વિવાદ ચાલતો હતો. પિતા બલરાજ આ મામલે સત્યેન્દ્રનો સાથ નહોતા આપતા. જમીનની લાલચમાં મોન્ટીની પિતરાઈ મા સત્યેન્દ્રના લગ્ન પણ થવા દેતા નહોતા.

‘મૃતદેહ સગેવગે કરવા 5 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો’

પોલીસે વધુમાં જણાવ્યું કે, હત્યા બાદ મૃતદેહને દાટવા માટે આરોપીઓ દ્વારા ઘરમાં જ આશરે 5 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા જ આરોપીઓ પોલીસના હાથે પકડાઈ ગયા હતા. મૃતકના મામાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article