મોદી-મોદીના નારા..ભોપાલની મસ્જિદમાં લાગ્યા
દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે જોર શોરથી ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. ત્રીજી વખત કેન્દ્રની સત્તા મેળવવા માટે ભાજપ દરેક પ્રયાસ કરી રહી છે. તે કોઇ પણ સ્થિતિમાં 400 બેઠક જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ભાજપ દક્ષિણથી લઇને ઉત્તર ભારત સુધી દરેક વર્ગના લોકોને સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં મુસ્લિમ સમાજના લોકોનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. અહીંની અલીગંજ હૈદરી મસ્જિદમાં ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા.
અલીગંજ હૈદરી મસ્જિદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી હતી. આ સાથે જ ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. વોહરા સમાજે મસ્જિદની અંદર પીએમ મોદીના પોસ્ટર પણ લગાવ્યા હતા. ભોપાલના ભાજપના ઉમેદવાર આલોક શર્માના સમર્થનમાં વોહરા સમાજે પીએમ મોદી માટે નારા લગાવ્યા હતા. સાથે જ વોહરા સમાજના લોકોએ ભેગા થઇને ‘અબકી બાર 400 પાર’નો નારો પણ લગાવ્યો હતો.
વોહરા સમાજ પર ભાજપનું ફોકસ
ભાજપને મોટાભાગના લોકો મુસ્લિમ વિરોધી માને છે પરંતુ પીએમ મોદી પોતાના 400 પારના લક્ષ્યને મેળવવા માટે મુસ્લિમ સમાજને સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપે વોહરા સમાજ અને પસમાંદા મુસ્લિમોને સાધવાની રણનીતિ બનાવી છે. અંતે ભાજપ માટે કેમ મહત્ત્વપૂર્ણ છે વોહરા મુસ્લિમ સમાજ?
મુસ્લિમોમાં આર્થિક રીતે સૌથી પ્રભાવિત સમાજ દાઉદી વોહરા છે જેને ભાજપ પોતાની રાજનીતિના અનુકૂળ માને છે. પીએમ નરેન્દ્ર મોદી વોહરા સમાજની ઘણી નજીક ગણાય છે. વોહરા સમાજના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપનારા મોદી પ્રથમ વડાપ્રધાન હતા. આ સમાજના મોટાભાગના લોકો વેપારી છે. તે પીએમ મોદીનું સમર્થન કરતા રહ્યાં છે.
ભારતમાં કેવી રીતે આવ્યો વોહરા સમાજ?
વોહરા સમાજ ધર્મ પ્રચારકો દ્વારા 11મી સદીમાં ઇજિપ્તથી ગુજરાત આવ્યા હતા.વોહરા ગુજરાતી શબ્દ ‘બહૌરાઉ’નું રૂપ છે, જેનો અર્થ વેપાર થાય છે. જ્યારે ભારતમાં આ સમાજનો વિસ્તાર થવા લાગ્યો તો 1539માં તેનું કાર્યાલય યમનથી ગુજરાતના સિદ્ધપુર આવ્યું હતું.
વહોરા સમાજના 30માં સૈયદનાની 1588માં મોત બાદ તેમની ગાદીને લઇને તેમના વંશજ દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ સમાજમાં બે જૂથ બની ગયા હતા. દાઉદીના અનુયાયીઓને દાઉદી વહોરા કહેવામાં આવ્યા જ્યારે સુલેમાનના સમર્થક સુલેમાની વહોરા બની ગયા. વિભાજનના કેટલાક સમય પછી સુલેમાની વહોરા પોતાની ઓફિસ પરત યમન લઇ ગયા, જ્યારે દાઉદી વહોરા સમાજે મુંબઇને પોતાનું કાર્યાલય બનાવ્યુ હતુ.
વોહરા સમાજને પીએમ મોદી ક્યારે ક્યારે મળ્યા…
14 સપ્ટેમ્બર 2018માં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પીએમ મોદી વોહરા સમાજની વાયજ એટલે કે પ્રવચનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વોહરા સમાજની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમનો વોહરા સમાજ સાથે ખાસ સંબંધ રહ્યો છે.
10 ફેબ્રુઆરી 2023માં મુંબઇ દાઉદી વોહરા સમાજના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અલ જામિયા-તુસ સૈફિયાહ (સૈફ એકેડમી)ના એક કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું હતું. સાથે જ ખુદને વોહરા પરિવારના સભ્ય પણ ગણાવ્યા હતા.
24 જૂન 2023માં પીએમ મોદીએ ઇજિપ્તમાં વોહરા સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી.
વોહરા મુસ્લિમ સમાજ ભાજપ માટે કેમ મહત્ત્વપૂર્ણ
ભારતમાં કુલ મુસ્લિમ વસ્તી 20 કરોડ છે.
દેશમાં વોહરા મુસ્લિમ વસ્તી 20 લાખ છે.
પીએમ મોદીનો વોહરા સમાજ સાથે ખાસ સંબંધ રહ્યો છે. એવામાં આ વસ્તીનું સમર્થન ભાજપ માટે ઘણુ મહત્ત્વપૂર્ણ છે.
ભારતમાં દાઉદી વોહરા મોટી સંખ્યામાં રહે છે. કેટલાક રાજ્યમાં તેમની સારી એવી સંખ્યા છે.
ક્યા રાજ્યમાં રહે છે દાઉદી વોહરા સમાજ?
ગુજરાત: સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, નવસારી, દાહોદ, ગોધરા
મહારાષ્ટ્ર: મુંબઇ, પૂણે, નાગપુર
રાજસ્થાન: ઉદયપુર, ભીલવાડા
મધ્ય પ્રદેશ: ઇન્દોર, બુરહાનપુર, ઉજ્જૈન, શાજાપુર
આ સિવાય કોલકાતા, કર્ણાટક, ચેન્નાઇ, બેંગલુરૂ અને તેલંગાણામાં વોહરા સમાજની સારી એવી સંખ્યા છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ પસમાંદા અને વોહરા સમાજને સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમના માટે પાર્ટીએ પહેલાથી જ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. 3 જુલાઇ 2022માં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. આ બેઠકમાં વોહરા સમાજ પર આગામી ચૂંટણીમાં ફોકસ કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ સાથે જ 17 જાન્યુઆરી 2023માં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી જેમાં વોહરા સમાજને લઇને ખાસ આદેશ આપવામાં આવ્યો હતો.
