Suspension of MPs in Lok Sabha: લોકસભામાં મંગળવારે આસન (પીઠ) ની નજીક કાગળો ઉછાળીને ગૃહની અવમાનના કરવાના મામલે કોંગ્રેસના સાત સભ્યો અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના એક સાંસદને વર્તમાન બજેટ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે મામલો, જેમાં ૮ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચાલી રહેલી ચર્ચામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભૂતપૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેના એક અપ્રકાશિત સંસ્મરણોનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કરવાના મુદ્દે બેઠક ત્રણ વખત સ્થગિત થયા બાદ બપોરે ૩ વાગ્યે શરૂ થઈ ત્યારે પીઠાસીન સભાપતિ દિલીપ સૈકિયાએ આસનની અવજ્ઞા કરવા બદલ કોંગ્રેસના સભ્યો અમરિંદર સિંહ રાજા વડિંગ, ગુરદીપ સિંહ ઔજલા, હિબી ઇડન, ડીન કુરિયાકોસ, પ્રશાંત પડોલે, કિરણ કુમાર રેડ્ડી અને મણિકમ ટેગોર તથા માકપા સાંસદ એસ. વેંકટેશનના નામ લીધા હતા.
સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આ આઠેય સભ્યોના નામ લેતા ગૃહમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ગૃહની અવમાનના કરવા અને મહારજિસ્ટ્રાર તથા લોકસભાના અધિકારીઓની ટેબલ પાસે આવીને કાગળો ઉછાળી આસનની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ ઉપરોક્ત તમામ સભ્યોને નિયમ ૩૭૪ (૨) હેઠળ સંસદના વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવે. ગૃહમાં ધ્વનિમતથી આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી, ત્યારબાદ બેઠક દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.
સાંસદોએ ક્યારે કાગળો ઉછાળ્યા, જેના પર એક્શન લેવાયું
હકીકતમાં, વિપક્ષી સભ્યોએ ગૃહમાં રાહુલ ગાંધીને બોલવાની પરવાનગી ન મળવાના મુદ્દે સૂત્રોચ્ચાર કરતી વખતે આસન પાસે કાગળો ઉછાળીને ફેંક્યા હતા. રાહુલ ગાંધીએ મંગળવારે ગૃહમાં નરવણેના પુસ્તક પર આધારિત લેખને પ્રમાણિત કરીને ગૃહના ટેબલ પર મૂક્યો હતો. તેમણે ફરીથી નરવણેના સંસ્મરણો અને ચીન સાથેના ટકરાવનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો મુદ્દો છે જેનો ચીન તથા પાકિસ્તાન સાથે સંબંધ છે અને તે રાષ્ટ્રપતિના અભિભાષણનો મુખ્ય ભાગ છે. આસન તરફથી તેમને આગળ બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
નિયમ ૩૭૪(૨) શું છે જેના હેઠળ ૮ સાંસદ સસ્પેન્ડ થયા
નિયમ ૩૭૪(૨) લોકસભા એટલે કે ભારતની સંસદના નીચલા ગૃહના કામકાજ અને પ્રક્રિયાના નિયમોની એક જોગવાઈ સાથે સંબંધિત છે, જે સ્પીકરને એવા સંસદ સભ્યને સસ્પેન્ડ કરવાનો અધિકાર આપે છે જે ગેરવર્તણૂક કરે છે. આ નિયમ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ સાંસદનું વર્તન ચેરના અધિકારની અવગણના કરતું હોય અથવા સતત ગૃહના કામકાજમાં અવરોધ પેદા કરતું હોય.

