હૈદરાબાદ પ્લેઓફથી એક જીત દૂર
હૈદરાબાદ, તા. 15 : આઇપીએલ-2024 સીઝનના પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવાથી સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત એક જીત દૂર છે અને આ જીત હાંસલ કરવાના લક્ષ્ય સાથે ગુરુવારે ઘર આંગણે રમાનારી મેચમાં તે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મેદાને પડશે. અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદને લીધે ગુજરાતની પ્લેઓફની આશા પર પાણી ફરી વળી ગયું હતું. હવે શુભમન ગિલની ટીમનો ઉદેશ સીઝનની તેની આખરી મેચ સનરાઇઝર્સના પ્લેઓફનાં સમીકરણ બગાડી પ્રોત્સાહક જીતનો હશે.

બીજી તરફ પેટ કમિન્સની ટીમની નજર ટોચની બે ટીમમાં રહી પ્લેઓફ પ્રવેશની છે. હૈદરાબાદ ટીમને આ પછી પણ એક મેચ રમવાની છે. તેના ખાતામાં 12 મેચમાં 14 અંક છે. તેનો નેટ રન રેટ પ્લસ 0.406 છે. જો સનરાઇઝર્સને આખરી બે મેચમાં જીત મળશે તો તેના 18 પોઇન્ટ થઈ જશે અને ટોચની બે ટીમમાં જગ્યા પાકી થઈ જશે. ગુજરાત સામેના મુકાબલા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને એક સપ્તાહનો વિરામ મળ્યો છે. આથી તેના ખેલાડીઓ તરોતાજા છે.
આ ઉપરાંત પાછલા મેચમાં લખનઉ સામેની વિક્રમ જીતથી તેમનો આત્મવિશ્વાસ બુલંદી પર છે. લખનઉ સામે હૈદરાબાદે 166 રનનું લક્ષ્ય વિના વિકેટે 9.4 ઓવરમાં સર કરી રનનું રમખાણ સર્જ્યું હતું. બીજી તરફ શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સ ટીમને પાછલા પ મેચમાં 3 હાર મળી છે. કપ્તાન શુભમન ગિલ અને સાઇ સુદર્શન સિવાયના એક પણ બેટરના બેટમાંથી રન નીકળી રહ્યા નથી. આ ઉપરાંત શમીની ખોટ ટીમને સતત પડી રહી છે.
