નવી દિલ્હી / અમદાવાદ, તા. 29 : દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણએ બુધવારે ભારતમાં જાપાનના રાજદૂત હિરોશ સુઝુકી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન બંનેએ વૈકલ્પિક ઊર્જા તેમજ હરિત ઊર્જા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જાપાનના રાજદૂતે અદાણી જૂથના મુંદરા પોર્ટ તેમજ ખાવડા સાઇટની મુલાકાત પર લીધી હતી.

ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. ગૌતમ અદાણીએ `એક્સ’ હેન્ડલ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. અદાણીએ પોસ્ટમાં નોંધ્યું હતું કે, મુંદરા પોર્ટ અને ખાવડા સાઇટની મુલાકાત લેવા બદલ અમે જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીના આભારી છીએ. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિનું સન્માન તેમજ ભારત સાથે સહભાગિતાને મહત્ત્વ અને સમર્થન આપવાનો જાપાનના રાજદૂતનો અભિગમ ખરેખર પ્રેરણાનો સ્રોત છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (એજીઇએલ) કચ્છ પ્રદેશના ખાવડામાં દુનિયાનો સૌથી મોટો 30 હજાર મેગાવોટનો રિન્યૂએબલ એનર્જી પાર્ક વિકસિત કરી રહી છે. ખાવડામાં વિકાસ પામી રહેલી આ મહત્ત્વાકાંક્ષી પરિયોજના 538 વર્ગ કિલોમીટરના વિશાળ ભૂભાગ પર ફેલાયેલી છે. આ ખમતીધર વૈશ્વિક સ્તરની ઊર્જાલક્ષી પરિયોજનાનું કદ ફ્રાન્સના પેરિસ શહેર કરતાં પાંચ ઘણું મોટું છે અને મુંબઇ શહેર જેટલું મહાકાય છે.

