કતારગામમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં કારખાનામાં લાગી આગ, બેની હાલત ગંભીર
સુરતના કતારગામ સ્થિત આરવી ડાયમંડ કંપનીના હીરાના કારખાનામાં ગુરુવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં કારખાનામાં કામ કરતા 14 રત્ન કલાકારો દાઝી ગયા હતા જેમાંથી બેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફેક્ટરીના ત્રીજા માળે હીરાની સફાઈ કરતી વખતે ગેસની લાઈનમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
ઘાયલોને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સુરતના મેયર દક્ષેશ માવાણી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા અને અધિકારીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં ગેસ લાઇનનો વધુ પડતો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. ગેસ સિલિન્ડર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી નાખવામાં આવેલી ગેસ લાઇનનો ઉપયોગ હીરા સાફ કરવા, સોનું ગંધવા અને પેન્ટ્રીમાં પણ કરવામાં આવતો હતો. માનવામાં આવી રહ્યું છે કે ગેસ લાઈનમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે.
ફાયર ઓફિસરનું નિવેદન
ફાયર ઓફિસર રમેશ સેલારએ જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટના સમયે ફેક્ટરીમાં ઓછામાં ઓછા 14 કર્મચારીઓ હાજર હતા, જેઓ દાઝી ગયા હતા. તેમણે કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે કારખાનાઓમાં સલામતીના માપદંડોનું કડક પાલન કરવું જરૂરી છે.

