નવી દિલ્હી, તા. 23 : શેરબજાર નિયામક સંસ્થા `સેબી’એ ભારે કડક કાર્યવાહીનો કોરડો વીંઝતાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાયનાન્સના પૂર્વ પ્રમુખ અધિકારીઓ સહિત 24 અન્ય સંસ્થાઓને કંપનીમાંથી નાણાં કાઢીને અન્ય ઉપયોગમાં વાળવાના મામલામાં પાંચ વર્ષ માટે શેરબજારમાંથી પ્રતિબંધિત કરી દીધા હતા. સેબીએ અનિલ અંબાણીને 25 કરોડનો દંડ કર્યો છે. કોઇપણ લિસ્ટેડ કંપની કે બજાર નિયામક સંસ્થામાં નોંધાયેલી કોઇપણ કંપનીના રૂપમાં શેરબજાર સાથે જોડાવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.

સાથોસાથ રિલાયન્સ હોમ ફાયનાન્સને છ મહિના માટે પ્રતિબંધિત કરતાં છ લાખ રૂપિયાનો દંડ સેબીએ ફટકાર્યો હતો. પોતાના 22 પાનાના આદેશમાં સેબીએ કહ્યું હતું કે, અનિલ અંબાણીએ આરએચએફએલના પ્રમુખ વ્યવસ્થાતંત્રના કર્મીઓની મદદથી તેના નાણાં પોતાની સંસ્થાઓને ધિરાણ રૂપે આપીને એક છેતરપિંડીની યોજના ઘડી હતી. જોકે,આરએચએફએલના નિર્દેશક મંડળે આ પ્રકારના પ્રયાસો રોકવા કડક નિર્દેશ આપ્યા હતા, પરંતુ કેટલાક કર્મીઓએ અવગણના કરી હતી. સેબીના જણાવ્યાનુસાર અનીલ અંબાણીએ છેતરપિંડીને પાર પાડવા `એડીએ’ જૂથના અધ્યક્ષ તરીકે પોતાના પદ અને આરએચએફએલમાં પોતાના પરોક્ષ શેર હિસ્સાનો ઉપયોગ કર્યો હતો.

