નવી દિલ્હી, તા. 15 : દેશના નાગરિકોને ખાસ કરીને મહિલાઓને સોનાની ખરીદીમાં હવે રાહત મળશે કેમ કે સરકારે આખા દેશમાં સોનાના એક જ સરખા ભાવ નિર્ધારિત કરવાનું નક્કી કર્યું છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના – ચાંદીના ભાવ અલગ અલગ હોય છે, તેને કારણે આ કિંમતી ધાતુઓના સાચા ભાવ વિશે હંમેશાં દુવિધા રહ્યા કરે છે.

પરંતુ હવે સુવર્ણ ભાવ નીતિ અંતર્ગત એક રાષ્ટ્ર એક સમાન દર અર્થાત આખા દેશમાં સોનાના ભાવો એક સરખા રહેશે. સામાન્ય રીતે આ કિમતી ધાતુઓના ભાવ વિવિધ શહેરોમાં અલગ અલગ હોવાનું કારણ જે તે રાજ્યમાં ટેક્સના દરોનો તફાવત હોય છે. જોકે એ સિવાય પણ અન્ય કેટલીક બાબતો ભાવ-નિર્ધારણ કરતી હોય છે. પરંતુ હવે સરકારે એક દેશ, એક ભાવ નીતિ લાગુ કરવા તૈયાર છે, જેને પગલે દેશના કોઈપણ શહેરમાંથી સોનાની ખરીદી એક સરખા ભાવે થઈ શકશે.
ભાવ તફાવતને કારણે તેની ખરીદી માટે બીજા શહેર કે બીજા રાજ્યમાં નજર દોડાવવાની જરૂર નહીં પડે. એક દેશ, એક ભાવ નીતિ ભારત સરકારની યોજના છે. સરકારનો આશય એ છે કે આખા દેશમાં સોનાની કિંમત એક સમાન હોય. આ યોજનાના અમલ માટે સરકાર રાષ્ટ્રીય સ્તરે એક બુલિયન એક્સચેન્જ બનાવશે. આ રાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ સોનાના ભાવ નક્કી કરશે. ઉદાહરણ તરીકે જે રીતે, શેર બજારમાં કોઈ કંપનીના શેરના ભાવ આખા દેશમાં એક સમાન હોય છે જે ભાવ મુંબઈ શેર બજાર અથવા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય છે. હાલ સોના-ચાંદીનું ખરીદ – વેચાણ ખઈડ દ્વારા થાય છે, પરંતુ હવે સરાફા બજાર માટે પણ એક અલગ એક્સચેન્જ શરૂ થશે. વાસ્તવમાં આવું એક્સચેન્જ હોવું જોઈએ તેવી માગણી ઘણાં વર્ષથી થઈ રહી છે. આ નવી નીતિ લાગુ થવાથી રાષ્ટ્રીય સ્તરે બુલિયન એક્સચેન્જ જ સોનાના ભાવ નક્કી કરશે અને આખા દેશના સોનીઓએ એક્સચેન્જ દ્વારા નક્કી થાય એ કિમતે જ સોનું વેચવું પડશે.
હાલ સોનાના ભાવ શરાફા બજારના એસોસિએશન દ્વારા નિર્ધારિત થાય છે. આવાં એસોસિએશન પ્રત્યેક શહેરમાં અલગ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે દરેક શરાફા બજાર પોતપોતાના શહેરમાં સોનાના ભાવ સાંજે જાહેર કરતા હોય છે. પેટ્રોલ-ડીઝલની જેમ સોના-ચાંદીના ભાવ પણ દરરોજ નિર્ધારિત થાય છે. આ કિંમતી ધાતુઓના ભાવ ઉપર પણ વૈશ્વિક સેન્ટિમેન્ટની અસર થતી હોય છે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવોમાં જે વધઘટ થાય તેની અસર પણ ભારતના બુલિયન બજારમાં થતી હોય છે. જોકે હવે આ નીતિ લાગુ થવાથી સોના-ચાંદી ઉદ્યોગમાં પારદર્શિતા વધશે જેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને થશે. ઉપરાંત ભાવોમાં જે ફેરફાર છે તે અનિશ્ચિતતા દૂર થવાથી શકય છે સોનાના ભાવમાં પણ ઘટાડો થઈ શકે.

