Atal Tinkering Lab: સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ થઈ ગયું છે. જેમાં સરકાર દ્વારા ઘણી મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ (Atal Tinkering Lab) સ્થાપવાની જાહેરાત કરી છે.
અટલ ટિંકરિંગ લેબ (ATL) એ ભારત સરકારની એક પહેલ છે, જેને અટલ ઈનોવેશન મિશન (AIM) હેઠળ શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય શાળાના બાળકોમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)ની પ્રત્યે રસ(રુચિ) જગાડવાનો અને તેમનામાં નવીનતા (ઈનોવેશન)ની ભાવના વિકસાવવાનો છે.
આ સાથે જ શાળાના બાળકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, 3D પ્રિન્ટિંગ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવી હાઈ-ટેક ટેક્નોલોજી સ્કિલ શીખવવાનો છે.
અટલ ટિંકરિંગ લેબમાં શું-શું હોય છે?
3D પ્રિન્ટર: જેના દ્વારા વિદ્યાર્થીઓ થ્રી-ડાયમેન્શનલ મૉડલ બનાવી શકે છે.
ઈલેક્ટ્રોનિક કિટ્સઃ જેમ કે સર્કિટ બોર્ડ, સેન્સર, માઈક્રોકન્ટ્રોલર (Arduino, Raspberry Pi) વગેરે.
રોબોટિક્સ ડિવાઈસઃ જેના દ્વારા વિદ્યાર્થીઓ રોબટ બનાવતા અને પ્રોગ્રામિંગ કરતા શીખે છે.
સાઈન્ટિફિક ટૂલ્સઃ વૈજ્ઞાનિક પ્રયોગો અને નવીનતા માટે મોડેલ અને પ્રોજેક્ટ કિટ્સ.
અટલ ટિંકરિંગ લેબના ફાયદા
બાળકોનું મગજ વિકસિત થાય છે. માત્ર પુસ્તકોનું જ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે.
બાળકોને તેમની કલ્પના મુજબ કંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. ટીમ વર્ક અને લીડરશીપ જેવી સ્કિલ વિકસિત થાય છે.
દેશમાં કેટલી છે આ લેબ?
સરકારની વેબસાઇટ aim.gov.in અનુસાર, હાલ દેશના 722 જિલ્લામાં 10 હજાર ATL લેબ છે, જ્યાં 6200થી વધુ માર્ગદર્શકો (મેન્ટર) 1.1 કરોડથી વધારે વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રહ્યા છે.

