બિહાર, તા. 19 : ભારત અદ્યતન અને સંશોધનલક્ષી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી સાથે વિશ્વના સૌથી અગ્રણી જ્ઞાન કેન્દ્ર તરીકે ફરીથી ઊભરે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં નવી નાલંદા યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરતા ભારપૂર્વક જણાવ્યું હતું. તથા વિદ્યાર્થીઓને હંમેશા જીજ્ઞાસુ અને હિંમતવાન રહેવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, નાલંદા માત્ર એક નામ જ નથી નાલંદા એક ઓળખ છે. એક સન્માન છે. નાલંદા એક મુલ્ય છે, મંત્ર છે. ગૌરવ છે, ગાથા છે.
નાલંદા એ સત્યની ઘોષણા કરે છે કે પુસ્તકો આગની જ્વાળાઓમાં બળી શકે છે, પણ જ્ઞાનનો નાશ કરી શકતી નથી. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનીને 21મી સદી જે એશિયાની છે તેમાં ભુમિકા ભજવવા માટે આતુર છે. તેમણે ભારપુર્વક કહ્યું કે, ઈતિહાસ એ વાતનો પુરાવો છે કે તમામ વિકસીત દેશો શિક્ષણક્ષેત્રે પોતાની છાપ છોડયા પછી જ આર્થિક અને સાંસ્કૃતિક આગેવાનો બન્યા છે. પ્રાચિન સમયમાં જ્યારે નાલંદા અને વિક્રમશીલા જેવી શિક્ષણની બેઠકો વિકસતી હતી ત્યારે આપણા દેશે પણ આવો દરજ્જો મેળવ્યો હતો ભારત વિશ્વના સૌથી અગ્રણી જ્ઞાન કેન્દ્ર તરીકે ફરી ઉભરી આવે તે હેતુથી બાળકોમાં નાનપણથી જ નવીનતાની ભાવના કેળવવામાં આવી રહી છે. એક કરોડથી વધુ બાળકો અદ્યતન ટેકનોલોજીના સંપર્કમાં આવી રહ્યા છે.

અટલ ટિંજરિંગ લેબ્સ, ચંદ્રયાન અને ગગનયાન મીશને પણ વિજ્ઞાનમાં તેમની રૂચી વધારી છે. એક દાયકાઓ સુધી રહેલી માત્ર 100 સ્ટાર્ટઅપની સંખ્યા વધી 1.30 લાખથી વધુ થઈ ગઈ છે ત્યારે મોદીએ ભારપૂર્વક કહ્યું કે અમે વિક્રમજનક સંખ્યામાં પેટન્ટ ફાઈલ કરી રહ્યા છીએ. સંશોધન પત્રો પ્રકાશીત કરી રહ્યા છીએ. સંશોધન અને નવીનતાને વેગ આપવા માટે એક લાખ કરોડના વિશેષ ભંડોળની જાહેરાત કરી છે. અમારી યુનિવર્સીટીઓના વૈશ્વિક રેન્કિંગમાં સુધારો થયો છે. એક દાયકા પહેલાં સુધી માત્ર નવ શૈક્ષણીક સંસ્થાઓની ક્યુએસ રેન્કિંગ હતી જે વધી હવે 46 પર પહોંચી છે. અમારી યુનિવર્સીટીઓ વિદેશના સમકક્ષો સાથે સહયોગ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિક્ષણકેન્દ્રો આપણા દેશમાં તેમના કેમ્પસ સ્થાપી રહ્યા છે.

