નવી દિલ્હી, તા. 28 : દિલ્હી શરાબનીતિને લગતા મની લોન્ડરિંગના કેસમાં જામીન પર મુક્ત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સ્વાસ્થ્યના ધોરણે જામીન સાત દિવસ લંબાવવાની અરજીની તત્કાળ સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. ન્યાયાધીશ જે.કે. મહેશ્વી અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે, વચગાળાના જામીન લંબાવવાનો નિર્ણય ચીફ જસ્ટિસ કરશે. કારણ કે, મુખ્ય કેસમાં કેજરીવાલ સામેનો ચુકાદો અનામત છે.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આજે આ કેસમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. આમ આદમી પાર્ટીએ દલીલ કરી હતી કે, ધરપકડ બાદ કેજરીવાલનું વજન સાત કિલો ઓછું થયું છે, તેમનું કીટોનનું સ્તર ઊંચું છે અને તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. ડોક્ટરોએ પોજિટ્રોન એમિશન ટોમોગ્રાફી અને કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન સહિતના મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે, જેને કારણે તેમના વચગાળાના જામીન લંબાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 21મી માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. પ0 દિવસના જેલવાસ બાદ તેમને 10મી મેના 21 દિવસના જામીન મળ્યા હતા.

