Ismail Darbar: મ્યુઝિક ડિરેક્ટર ઈસ્માઇલ દરબારે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથેના પોતાના ઝઘડા પર વાત કરી. આ દરમિયાન તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવમાં ઈસ્માઇલે ભણસાલી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં સલમાન અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ પણ સામેલ છે. તેણે શાહરૂખ ખાન સ્ટારર સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.
ઈસ્માઇલ દરબારે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ બંને ફિલ્મ હિટ રહી હતી, પરંતુ તેમ છતાં બંને ફિલ્મોની કાસ્ટિંગ દરમિયાન ખૂબ તણાવ અને મતભેદ થયા હતા. ઇસ્માઇલ દરબારે જણાવ્યું કે, ભણસાલીએ દેવદાસમાં સલમાન ખાનને બદલે શાહરૂખ ખાનને કાસ્ટ કરી લીધો. આના કારણે ભણસાલી અને સલમાન વચ્ચે અણબનાવ થયો.
જ્યારે ઈસ્માઇલ દરબારને પૂછવામાં આવ્યું કે, શું સલમાનને ઐશ્વર્યા રાય સાથે તેના સંબંધોના અતીતના કારણે સંજય લીલા ભણસાલીએ દેવદાસમાં સાઈન નહતો કર્યો. ત્યારે તેણે કહ્યું કે, તેમના ઝઘડાના સમાચારો મીડિયામાં ચાલતા રહેતા હતા. અમને ખૂબ ખરાબ લાગતું હતું. તેઓ (સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ) એટલા નજીક હતા કે તેમને લડાઈ કરવાની જરૂર જ નહોતી. પરંતુ હવે તે બધુ ભૂતકાળ બની ગયુ છે. સલમાન પણ એટલો સમજદાર છે કે તે આ અંગે ક્યારેય વાત નથી કરતો.
ઐશ્વર્યાના કારણે ભણસાલીએ સલમાનને દેવદાસમાં કામ નહોતું આપ્યું?
ઈસ્માઈલ દરબારે સલમાન અને ભણસાલીના તૂટેલા સબંધો પર વાત કરી અને કહ્યું કે, જ્યારે મને કામની જરૂર હતી, ત્યારે મને હમ દિલ દે ચૂકે સનમ આપી અને જ્યારે તેમને મારી જરૂર હતી, તો મેં તેમના માટે મારું બધુ કામ છોડી દીધું. અંતે ઈન્ડસ્ટ્રીમાં તેઓ મારા ગોડફાધર હતા. મારું દિલ કહે છે કે, સલમાન સાથે ભણસાલીના સબંધો એટલા માટે બગડ્યા કારણ કે, તેમણે દેવદાસમાં શાહરૂખ ખાનને સાઈન કર્યો. સલમાને ‘ખામોશી’ ફ્લોપ થવા છતાં પણ તેમનો સાથ આપ્યો. તો પછી જો હું તમને બે વાર મદદ કરું અને ત્રીજી વાર તમે મારા હરીફને ફિલ્મમાં કાસ્ટ કરો, તો હું નારાજ નહીં થાઉં?

