રથયાત્રા સમિતિ દ્વારા પૂ.સંતો, મહંતો, આગેવાનોના હસ્તે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું, એક મહિના અગાઉથી તૈયારીના શ્રીગણેશ
ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તા-07 જુલાઈ, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત 39મી રથયાત્રા યોજાશે. આ માટે આજે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું.
ભાવનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે આવતી રથયાત્રા માટે દિવસો અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ૩લ્મી ભવ્ય રથયાત્રા અષાઢી બીજને તા.7 જુલાઈના આયોજન કરવામાં આવેલ છે. જે પરંપરાગત રીતે 18 કી.મી. ના માર્ગો પર ફરશે. ભગવાનના રથ સાથે વિવિધ ફ્લોટો સાથેની વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર રહે છે.

આ રથયાત્રાની તૈયારી રૂપે રથયાત્રાના એક માસ અગાઉ રથયાત્રાના કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પૂજ્ય સંતો મહંતોના આશીર્વચનો સાથે અને મહાનુભવો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે તે મુજબ આ વર્ષે આગામી આજે રવિવારે સત્યનારાયણ મંદિર સામે, સત્યનારાયણ રોડ, કાળુભા બસ સ્ટેન્ડ પાસે,ભાવનગર ખાતે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોહિલવાડ ક્ષેત્રના પૂ.સંતો, મહંતો, રાજકીય, સામાજીક અને હિંદુવાદી સંસ્થાના અગ્રણીઓ, રથયાત્રા સમિતિના સભ્યો સમેત ભાવનગરનાં અગ્રગણ્ય નાગરિકો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

