ગુજરાતમાં ચક્રવાત દાનાની હળવી અસર વર્તાશે, ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી,
અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય રીતે નવરાત્રિ આસપાસ ચોમાસાની વિદાય થઈ જાય છે પણ આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ બંને પરિબળોને કારણે હાલ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે મંગળવારે હવામન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુરુવારે ઓડિશાના તટીય વિસ્તારમાં લેન્ડફોલ કરશે
બીજી બાજુ અરબ સાગરના લો પ્રેશર સિસ્ટમને કારણે ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બુધવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું ગુરુવારે સવારે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. આ તોફાન ગુરુવારે ઓડિશાના તટીય વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે.
ગુજરાતમાં હળવી અસર વર્તાઈ શકે છે
ત્યાંરે આગામી ત્રણ દિવસમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઇને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના ભાગોમાં ટકરાય એવી શક્યતાઓ છે. આ સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં તેની હળવી અસર વર્તાઈ શકે છે.

