Gujarat Heavy Rain: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનો કહેર સતત યથાવત છે. ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં રાજ્યભરમાં 30 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં ગુરુવારે 296 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 100 વર્ષમાં એક જ દિવસમાં નોંધાયેલો આ ચોથો સૌથી વધુ વરસાદ છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારો અને કોલોનીઓ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે.
20 વર્ષમાં પ્રથમ વખત આવો વરસાદ
મહાનગરપાલિકા કમિશનર બચ્છાનિધિ પાણીએ જણાવ્યું કે, “છેલ્લા 20 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે અમદાવાદમાં 24 કલાકની અંદર આટલો ભારે વરસાદ નોંધાયો છે.” હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
200થી વધુ લોકોને બચાવાયા
સેનાના જવાનોએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી અને 200થી વધુ લોકોને સુરક્ષિત બચાવ્યા. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વૈભવી કોમ્પ્લેક્સ સેન્ટોસા પાર્ક્સમાં પાણીમાં ડૂબેલા બંગલાઓમાંથી 50થી વધુ લોકોને બોટની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી અને અનેક સ્થળોએ પાણીમાં ચાલીને જાતે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી અને પૂરનું પાણી ઝડપથી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપી.
વલસાડ અને નવસારીમાં પૂરનો સૌથી વધુ કહેર
ગુજરાતના વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં પૂરનું પાણી ઓસરતા અનેક મૃતદેહો વહેતા મળી આવ્યા છે. અધિકારીઓએ નવસારીમાં 15, વલસાડમાં 7, ખેડામાં 4 તેમજ અમરેલી અને સુરતમાં 2-2 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
50થી વધુ ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાતમાં પૂર અને ભારે વરસાદના કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ ટીમોએ હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરી છે. પૂરના કારણે ગુજરાતમાં રેલ સેવા પર ગંભીર અસર પડી છે અને 50થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

