Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વકીલે વળતર હડપવાની લાલચમાં હાઈકોર્ટથી પોતાના ક્લાયન્ટના મોતનું સત્ય 11 વર્ષ સુધી છુપાવી રાખ્યું હતું. હાઈકોર્ટને પણ આ વાતની જાણ થઈ નહોતી અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. પરંતુ અહીંથી જ વાર્તામાં વળાંક આવ્યો. હાઈકોર્ટે ચુકાદાના દિવસે વકીલને અરજદારને રજૂ કરવા માટે કહ્યું, ત્યારે વકીલે જણાવ્યું કે અરજદારનું મૃત્યુ તો 11 વર્ષ પહેલાં જ થઈ ગયું છે. આ સાંભળીને હાઈકોર્ટના જજ આશ્ચર્યચકિત થઈ ગયા અને વકીલની આકરી ઝાટકણી કાઢી હતી.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં આ મામલો જાન્યુઆરી 2003નો છે. મકવાણા નામની વ્યક્તિ પોતાની બાઈક ચલાવી રહ્યા હતા ત્યારે એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાછળ બેઠેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને લકવો (પેરાલિસિસ) થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે વડોદરા સ્થિત IPCLમાંથી સ્વેચ્છિક નિવૃત્તિ (VRS) લઈ લીધી હતી.
વધુ વળતર માટે હાઈકોર્ટમાં અપીલ કરી
વર્ષ 2012માં મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલે ટ્રક માલિક અને વીમા કંપનીને મકવાણાને 10.4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રકમથી અસંતુષ્ટ થઈને તેમણે વધુ વળતર માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 27 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલતે અરજદારના વકીલને નિર્દેશ આપ્યો કે 3 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા મકવાણાને રજૂ કરવામાં આવે. તે સમયે વકીલે પહેલીવાર કોર્ટને જણાવ્યું કે મકવાણાનું અવસાન તો ઓગસ્ટ 2015માં જ થઈ ચૂક્યું છે.
હાઈકોર્ટે વકીલને ફટકારી ફટકાર
આ સાંભળીને જસ્ટિસ સંગીતા વિશ્ર્વેન અને જસ્ટિસ નિશા ઠાકોરે વકીલને કડક ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આટલી મહત્વની જાણકારી છુપાવવી એ ગંભીર બેદરકારી છે. ત્યારબાદ અદાલતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને નિર્દેશ આપ્યો કે તે મકવાણાના કાયદેસરના વારસદારોને શોધી કાઢે અને તેમને આ કેસમાં સામેલ કરે. 25 ફેબ્રુઆરીના રોજ કોર્ટે તેમની અપીલ મંજૂર કરી હતી. હવે મકવાણાના બે પુત્રો અને બે પુત્રીઓને આ કેસમાં અપીલકર્તા બનાવવામાં આવ્યા છે. તેમને હવે 37.2 લાખ રૂપિયાનું વધેલું વળતર મળશે. કોર્ટે એ પણ નોંધ્યું કે મકવાણાની પત્નીનું અવસાન 2019માં થઈ ગયું છે. જ્યારે તેમના બાળકોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને આ કેસ વિશે કોઈ જાણકારી જ નહોતી.

