Kheda Rape Murder Case: ખેડા ગેંગરેપ અને હત્યા કેસમાં મોટો વળાંક: હાઈકોર્ટે ફાંસીની સજા પામેલા ૩ આરોપીઓને કર્યા નિર્દોષ જાહેર, પોલીસની બેદરકારીને કારણે છૂટ્યા ગુનેગારો?

Arati Parmar
4 Min Read

Kheda Rape Murder Case: ગુજરાતના ખેડા જિલ્લામાં ૨૦૧૮માં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ૩૫ વર્ષની એક મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને હચમચાવી દેનારી આ ઘટનાના આરોપમાં ટ્રાયલ કોર્ટે ત્રણ લોકોને ફાંસીની સજા ફટકારી હતી. હવે આ કેસમાં આઘાતજનક વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સજા પામેલા ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા છે. એટલું જ નહીં, કોર્ટે ત્રણેયને તાત્કાલિક જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ આઈ. જે. વોરા અને ન્યાયમૂર્તિ આર. ટી. વચ્છાણીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે ખેડાના કપડવંજ તાલુકાના ગામોના રહેવાસી ગોપી ઉર્ફે ભાલા દેવીપૂજક, જયંતી વાદી અને લાલા વાદી ઉર્ફે કંકુડિયોની સજા રદ કરી હતી. બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ‘પ્રોસિક્યુશન (સરકારી પક્ષ) આરોપીઓ વિરુદ્ધ શંકાથી પર રહીને પોતાનો કેસ સાબિત કરવામાં સક્ષમ રહ્યું નથી, કારણ કે આરોપીઓના ગુના તરફ ઈશારો કરતી તમામ સંજોગોની સંપૂર્ણ કડીઓ ન તો પ્રસ્થાપિત થઈ છે અને ન તો સાબિત થઈ છે.’

- Advertisement -

બ્લડ અને સીમન સેમ્પલના રિપોર્ટ પર થઈ હતી સજા

જોકે ફોરેન્સિક એનાલિસિસમાં બહાર આવ્યું હતું કે બ્લડ અને સીમન (વીર્ય) ના નમૂનાઓ આરોપીઓ સાથે મેળ ખાય છે. નીચલી અદાલતે જે સજા ફટકારી હતી તેનો મુખ્ય આધાર આ જ હતો. હાઈકોર્ટે ફોરેન્સિક રિપોર્ટના પુરાવાઓને નકારી દીધા કારણ કે નમૂનાઓ એકત્રિત કરવા, સાચવવા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ને મોકલવાની અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું.

ગુજરાત હાઈકોર્ટે શું માન્યું

અદાલતે જણાવ્યું હતું કે, ‘એ સ્વીકારવામાં આવે છે કે ૧૪ દિવસના વિલંબ બાદ નમૂનાઓ અમદાવાદ સ્થિત FSL ને મોકલવામાં આવ્યા હતા. વિલંબનું કારણ સ્પષ્ટ નથી, અને આ સમયગાળા દરમિયાન નમૂનાઓને કયા સંજોગોમાં સાચવવામાં આવ્યા હતા, તે પણ રેકોર્ડ પર આવ્યું નથી.’

- Advertisement -

હાઈકોર્ટ જસ્ટિસે વ્યક્ત કર્યો ખેદ

ફોરેન્સિક ટેકનોલોજીમાં પ્રગતિ હોવા છતાં પ્રક્રિયાગત ખામીઓને કારણે આરોપીઓ છૂટી ગયા તે બાબતે ખેદ વ્યક્ત કરતા હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટનો હવાલો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, ‘એ કમનસીબ છે કે આવી પ્રગતિ હોવા છતાં, અમારી પાસે હજુ પણ એવા કિસ્સાઓ છે જ્યાં પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, તેને ફગાવી દેવા પડે છે કારણ કે સંબંધિત વ્યક્તિઓ – પછી તે ડોક્ટર હોય કે તપાસકર્તા, આવા સંવેદનશીલ પુરાવાઓને સંભાળવામાં બેદરકારી દાખવે છે.’

શું છે સમગ્ર મામલો

ઓક્ટોબર ૨૦૧૮માં પીડિતાનું કથિત રીતે મોતીઝર ગામથી અપહરણ કરી ખેડા જિલ્લાના નિર્મલી ગામે લઈ જવામાં આવી હતી. ત્યાં તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો અને પછી ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તેનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો, ત્યારબાદ પીડિતાના ભાઈએ FIR નોંધાવી હતી. પોલીસે આ મામલે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી અને કપડવંજની સેશન્સ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. ૨૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ કેસ ગણીને આરોપીઓને ફાંસીની સજા આપી હતી.

- Advertisement -

હાઈકોર્ટ ગઈ હતી ગુજરાત સરકાર

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં મૃત્યુદંડની પુષ્ટિ માટે અરજી કરી હતી, કારણ કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજા માટે હાઈકોર્ટની અનિવાર્ય મંજૂરી આવશ્યક હોય છે. દોષિતોએ નીચલી અદાલતના ચુકાદાને પણ પડકાર્યો હતો. કેસની સુનાવણી બાદ, ઉચ્ચ ન્યાયાલયે કથિત ગુના સંબંધિત મેડિકલ હિસ્ટ્રી નોંધનારા ડોક્ટરોના પુરાવા પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે કહ્યું કે તબીબી નમૂનાઓ એકત્રિત કરતી વખતે, ખાસ કરીને પોલીસ અધિકારીઓની હાજરીમાં, આરોપીનું નિવેદન નોંધવું એ ડોક્ટરનું કામ નથી. અદાલતે આરોપીના કથિત ગેર-ન્યાયિક કબૂલાતને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

Share This Article