વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન
PM Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે રાજ્યના શહેરો, નગરો અને 18 હજારથી વધુ ગામોમાં આશીર્વાદ સ્વરૂપે 88 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
17 મુખ્ય શહેરોમાં પાંચ લાખથી વધુ લોકો જોડાવાની શક્યતા
17 મુખ્ય શહેરોમાં યોજાનારા કાર્યક્રમોમાં પાંચ લાખથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. જ્યારે 17 મહાનગરપાલિકાઓમાં ભજન સંધ્યા, સત્સંગ, આરતી અને દીપ પ્રાગટ્યના કાર્યક્રમો યોજાશે.
76 ગૌમાતાઓનું ગૌદાન કરવામાં આવશે
સીતાવન ગૌશાળા અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ પટેલ તરફથી 76 ગૌમાતાઓનું ગૌદાન પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમદાવાદના કાંકરિયામાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વિવિધ શહેરોમાં મંત્રીઓ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ અને જીતુ વાઘાણી ભાવનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સરકારે નાગરિકોને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે કાર્યક્રમોમાં ભાગ લેવા અપીલ કરી છે.

