સુરત શહેરના લગભગ તમામ ઝોનમાં રસ્તાઓની હાલત ખરાબ જોવા મળી રહી છે. જ્યારે રોડ બાંધકામ એજન્સીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવે છે ત્યારે કામની ગુણવત્તાને લગતી તમામ શરતો સ્વીકારવામાં આવે છે. પરંતુ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં રહે છે.

ઉધના દરવાજા, ભાથેના, કતારગામ, પૂણા, અડાજણ, રાંદેર, વરાછા સહિત સુરતના અનેક રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન છે. ખાસ કરીને તૂટેલા રસ્તાના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ માર્ગોના સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ સાત દિવસમાં કયા વિસ્તારમાં કેટલા રસ્તાનું કામ થયું તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પૂર બાદ રસ્તાઓની સમસ્યા સર્જાય છે. આખરે પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા રસ્તા પરથી પસાર થવું પ્રજા માટે મુશ્કેલ બની રહ્યું છે.

